બિહારના સાંસદ પપ્પુ યાદવને બિશ્નોઈ ગેંગ તરફથી મારી નાખવાની ધમકી મળી
બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકી અન્ય કોઇ નહીં, પણ લોરેન્સ ગેંગ દ્વારા આપવામાં આવી છે. આ ધમકીભર્યા કોલ કરનાર કોલરનો દાવો છે કે તે પપ્પુ યાદવના લોકેશન્સની સતત રેકી કરી રહ્યો છે અને તેમની હિલચાલ પર ચાંપતી નજર રાખી રહ્યો છે.
એટલું જ નહીં ધમકીભર્યો કોલ કરનારે જણાવ્યું હતું કે પપ્પુ યાદવને સલમાન ખાન કેસથી દૂર રહેવાની ચેતવણી પણ આપવામાં આવી છે, પણ તેમણે ધ્યાન નથી આપ્યું, તેથી હવે તેમને જાનથી મારવાની ધમકી આપવામાં આવી છે. પપ્પુ યાદવે બિહારના ડીજીપીને આ મામલાની જાણકારી આપી છે, જેથી તેના પર કાર્યવાહી થઈ શકે.
ધમકી આપનાર વ્યક્તિનો દાવો છે કે લોરેન્સ બિશ્નોઈ કલાકના 1 લાખ રૂપિયા આપીને જેલમાં જામર બંધ કરાવીને પપ્પુ યાદવ સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ પપ્પુ યાદવ ફોન ઉપાડતો નથી.
આ ઉપરાંત ઝારખંડની જેલમાં બંધ ગેંગસ્ટર અમનના સાગરિતે પણ પપ્પુ યાદવને ધમકી આપી હતી. સોશિયલ મીડિયા પર તેણે લખ્યું હતું કે, ‘પપ્પુ યાદવે લોરેન્સ ભાઈ વિશે વિપરીત નિવેદન આપ્યું છે. તમે તમારી મર્યાદામાં રહીને શાંતિથી રાજનીતિ કરો. ટીઆરપી કમાવાની રાજનીતિમાં નહીં પડો, નહીં તો તમારુ પણ ‘રામ બોલો ભાઇ રામ’ થઇ જશે.’
મુંબઈમાં NCP નેતા અને પૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યા બાદ પપ્પુ યાદવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમણે કહ્યું હતું કે જો કાયદો પરવાનગી આપે તો તેઓ 24 કલાકમાં લોરેન્સ બિશ્નોઈ જેવા બે કોડીના ગુનેગારના સમગ્ર નેટવર્કને ખતમ કરી દેશે.
પપ્પુ યાદવે બાબા સિદ્દીકીની હત્યાને શરમજનક ગણાવી હતી. સોશિયલ મીડિયાપર તેમણે બળાપો કરતા લખ્યું હતું કે બિહારના પુત્ર બાબા સિદ્દીકીની હત્યા અત્યંત દુઃખદ છે. જો ભાજપની ગઠબંધન સરકાર પોતાના પક્ષના આવા પ્રભાવશાળી નેતાઓને બચાવવા સક્ષમ ન હોય તો સામાન્ય લોકોનું શું થશે?
જો કે આ પછી પપ્પુ યાદવે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આ દરમિયાન જ્યારે પત્રકારોએ તેમને લોરેન્સ બિશ્નોઈ વિશે પ્રશ્નો પૂછ્યા તો તેઓ ગુસ્સે થઈ ગયા. હતા તેમણે પત્રકારોને કહ્યું કે મેં તમને પહેલા જ કહ્યું હતું કે આ બધા નકામા પ્રશ્નો અહીં ન પૂછો. પ્રેસ કોન્ફરન્સમાં પપ્પુ યાદવનો આ વીડિયો પણ વાયરલ થયો હતો.
Also Read – બાબા સિદ્દીકી હત્યા કેસ: નવ આરોપીની પોલીસ કસ્ટડી એક દિવસ લંબાવાઇ
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરની રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જીશાન સિદ્દીકીની ઓફિસ પાસે ત્રણ લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરી છે. તેમની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. બિશ્નોઈ ગેંગે સલમાન ખાન અને દાઉદ ગેંગના નજીકના લોકોને પણ ધમકી આપી હતી. બાબા સિદ્દીકીને રાજનીતિની સાથે-સાથે બોલિવૂડના લોકો સાથે પણ ગાઢ સંબંધ હતો. તેમની ઈફ્તાર પાર્ટીઓમાં મોટી-મોટી હસ્તીઓ જતી હતી. તેઓ તાજેતરમાં કોંગ્રેસ પાર્ટી છોડીને NCP (અજિત પવાર)માં જોડાયા હતા.