નેશનલ

પાકિસ્તાનની ‘નાપાક’ મુરાદ: ‘ઓપરેશન સિંદૂર’માં તબાહ થયેલા લોન્ચ પેડ્સ ફરી કરી રહ્યું છે નિર્માણ

લાહોરઃ 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા બદલો લીધો હતો. આ કાર્યવાહીથી ભારતે આતંકી લોંચપેડ્સને તબાહ કર્યા હતા. જોકે હવે પાકિસ્તાન દ્વારા આ લોંચપેડ્સ ફરીથી બનાવવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનની સેના, ગુપ્તચર એજન્સી તથા આઈએસઆઈ અને સરકારનું સમર્થન મળ્યું છે.

પીઓકે (પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર) અને આસપાસના વિસ્તારમાં આતંકી લોંચપેંડ્સ બનાવવાની કોશિશ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ માટેનો કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન ફરી એક વખત આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું હોવાનું આના પરથી સ્પષ્ટ થાય છે.

ઓપરેશન સિંદૂર બાદ ફિલ્ડ માર્શલ બનાવવામાં આવેલા આસિમ મુનીરે આતંકી ઠેકાણાને ફરીથી ઉભા કરવા સરકારી ફંડ જાહેર કર્યું છે. અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવી ચુક્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન પણ ભારતની કાર્યવાહીમાં જે ઘર અને મસ્જિદોને નુકાસન થયું છે તેનું પુનઃનિર્માણ સરકાર કરાવશે તેમ કહી ચુક્યા છે.

આ આતંકી ઠેકાણાઓને અપાયું ફંડ
બહાવલપુરને રૂપિયા 14 કરોડનું ફંડ પૂરું પાડવામાં આવ્યું છે. અહીંના મરકઝ સુભાન અલ્લાહ પરિસર પર ભારતીય સેનાએ જૈશ-એ-મોહમ્મદના અડ્ડાને નિશાન બનાવીને મિસાઈલો છોડી હતી. આ સ્થળને આતંકવાદી મસૂદ અઝહરનો ગઢ માનવામાં આવે છે અને અહીં 13 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

મુરીદકેને રૂપિયા 15 કરોડનું ફંડ પૂરું પાડવામાં આવ્યું છે. આ લશ્કર-એ-તૈયબાનો ગઢ છે. તેને ભારતે નિશાન બનાવ્યું હતું અને હુમલામાં ઇમારતો ખરાબ રીતે તબાહ થઈ હતી. મુઝફ્ફરાબાદને 11 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. અહીંયા આતંકીઓના ટ્રેનિંગ કેમ્પ હતા અને તેને પણ ભારતીય સેનાએ તબાહ કર્યા હતા. ફંડ મળ્યા બાદ અહીંયા નિર્માણ કાર્ય શરૂ થઈ ચુક્યું છે. અહીંયા જે આતંકી માર્યા ગયા હતા તેમના પરિવારોને પાકિસ્તાની સેનાએ મદદ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button