ઓપરેશન સિંદૂરની ધાક: ભારતથી બચવા પાકિસ્તાને સાઉદી અરેબિયાનું શરણ લીધું, કરારમાં મોટી શરત મૂકાઈ

ઇસ્લામાબાદ: ઓપરેશન સિંદૂરમાં મળેલી કારમી હાર બાદ હજુયે પાકિસ્તાનને ભારત તરફથી હુમલાનો ડર સતાવી રહ્યો છે. ભારતે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, જેમાં 100થી વધુ આતંકવાદીઓને ઠાર કરાયા હતા.
ત્યારબાદ પાકિસ્તાને વળતો જવાબ આપવાનો પ્રયાસ કર્યો તો ભારતે મિસાઈલ હુમલામાં તેના 11 સૈન્ય ઠેકાણાઓનો નાશ કરી દીધો હતો. આ દરમિયાન ભારતે પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા ચીની અને તુર્કીના હથિયારો તોડી પાડ્યા હતા. તેથી હવે પાકિસ્તાન સુરક્ષા માટે સાઉદી અરેબિયા પહોંચ્યું હતું. બુધવારે પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આપણ વાંચો: પીએમ મોદીએ કહ્યું ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી
મળતી વિગતો અનુસાર પાકિસ્તાન અને સાઉદી અરેબિયાએ એક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત બંનેમાંથી કોઈ એક દેશ પરના આક્રમણને બંને દેશો પરનો હુમલો ગણવામાં આવશે. ખાસ વાત એ છે કે પાકિસ્તાને આ હસ્તાક્ષર એવા સમયે કરી છે, જ્યારે પાકિસ્તાનના ભારત સાથેના સંબંધો તંગ બનેલા છે.
મીડિયા અહેવાલ અનુસાર, વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ કરાર પર વડાપ્રધાન શાહબાઝ શરીફની રિયાધની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અલ-યમ્માહ પેલેસમાં ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાને તેમનું સ્વાગત કર્યું હતું.
અન્ય એક પ્રતિષ્ઠિત અખબારના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન કાર્યાલય દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે કરાર પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરવામાં આવી છે, કરારમાં કહેવામાં આવ્યું છે કે બંનેમાંથી કોઈપણ એક દેશ વિરુદ્ધ કોઈપણ પ્રકારના હુમલાને બંને દેશો પર હુમલો માનવામાં આવશે.
શું કહેવામાં આવ્યું સંયુક્ત નિવેદનમાં?
હસ્તાક્ષર સમારોહ બાદ આપવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, લગભગ આઠ દાયકાઓથી ચાલી રહેલી ભાગીદારીને આગળ વધારતા તેમજ ભાઈચારા, ઇસ્લામી એકતા તેમજ સહિયારી રણનીતિગત હિતોના બંધન પર આધારિત બંને પક્ષોએ રણનીતિક પારસ્પરિક રક્ષા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ પહેલા સાઉદીની રાજધાની પહોંચેલા પાકિસ્તાનના વડા પ્રધાન શરીફનું સ્વાગત રિયાદના ઉપ-ગવર્નર મુહમ્મદ બિન અબ્દુલરહમામ બીબ અબ્દુલઅજીજે કર્યું હતું.
સાઉદીએ આપ્યું હતું આમંત્રણ
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક દિવસ પહેલાં નિવેદન આપ્યું હતું કે વડાપ્રધાન યુવરાજ મોહમ્મદના આમંત્રણ પર સાઉદી અરબ જઈ રહ્યા છે. તેમની સાથે વિદેશ પ્રધાન ઈશાક ડાર, રક્ષા પ્રધાન ખ્વાજા આસિફ, નાણા પ્રધાન મોહમ્મદ ઔરંગઝેબ, સૂચના પ્રધાન અતાઉલ્લાહ તરાર, પર્યાવરણ પ્રધાન મુસાદિક મલિક અને વિશેષ સહાયક તારિક ફાતમી પણ ગયા છે.