રાહુલ ગાંધીના નિવેદનોનો પાકિસ્તાન ભારત વિરુદ્ધ ઉપયોગ કરી રહ્યું છેઃ શ્રીકાંત શિંદે

નવી દિલ્હીઃ શિવસેના નેતા શ્રીકાંત શિંદેએ ઓપરેશન સિંદૂર અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ‘આત્મસમર્પણ’ કરવાના નિવેદન માટે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ટીકા કરી હતી. તેમજ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે શું તેમને ખ્યાલ છે કે તેમના નિવેદનોનો ઉપયોગ પાકિસ્તાન ભારત વિરુદ્ધ કરી રહ્યું છે.
પશ્ચિમ એશિયા અને પશ્ચિમ આફ્રિકાના ચાર દેશોમાં બહુપક્ષી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનારા શિંદેએ એમ પણ જણાવ્યું કે ગાંધીએ કોંગ્રેસના નેતાઓ શશી થરૂર અને સલમાન ખુર્શીદ પાસેથી આતંકવાદ સામે સંયુક્ત લડાઇ કેવી રીતે લડવી તે શીખવું જોઇએ.
આ પણ વાંચો: ‘શ્રીકાંત શિંદેને નાયબ મુખ્ય પ્રધાન બનાવવાની માંગણી નથી કરી’
શિવસેના નેતાની આ ટિપ્પણી ગાંધીની એ ટિપ્પણીના જવાબમાં આવી છે કે જેમાં તેમણે દાવો કર્યો હતો કે પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા પછી વડા પ્રધાન મોદીએ અમેરિકા સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અને પાકિસ્તાન સાથે દુશ્મનાવટનો અંત લાવવા સહમત થયા હતા.
શિંદેએ જણાવ્યું કે આવી ભાષા તેમને(રાહુલ ગાંધીને) શોભતી નથી. તેમણે એ સમજવું જોઇએ કે પાકિસ્તાન તેમના નિવેદનોનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરી રહ્યું છે. તેઓ ભારતની તરફેણમાં બોલી રહ્યા છે કે ભારતના વિરુદ્ધમાં એ સમગ્ર દેશ જોઇ રહ્યો છે.
આ પણ વાંચો: કોંગ્રેસમાં ‘ઘોડા’ના રાજકારણનો વિવાદ: રાહુલ ગાંધીના નિવેદન પર અર્જુન મોઢવાડિયાએ માર્યો ટોણો…
ઓપરેશન સિંદૂરને લઇને ભારતમાં ચાલી રહેલા રાજકારણ અંગે શિંદેએ કહ્યું કે કોંગ્રેસના નેતા માત્ર પોતાને પ્રાસંગિક બનાવી રાખવા માટે સરકાર અને વડા પ્રધાન મોદી વિરુદ્ધ બોલી રહ્યા છે.
તેમણે (શશી) થરૂર, (સલમાન) ખુર્શીદ અને અન્ય લોકો પાસેથી ભારતનો પક્ષ વિશ્વ સમક્ષ કેવી રીતે રજૂ કરવો એ શીખવું જોઇએ. તેમજ આતંકવાદ સામેની લડાઇમાં આપણે બધાએ કેવી રીતે એક થવું જોઇએ. હંમેશા રાજનીતિમાં રચ્યું પચ્યું ન રહેવું જોઇએ.