
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને નિર્દોષ લોકોની ક્રૂર હત્યા બાદ ભારતે પાકિસ્તાન પર આકરા પગલાં લીધા છે. ભારત સરકારે સિંધુ નદી જળ સંધિ સમજૂતી સ્થગિત કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટિલ સાથે બેઠક યોજી હતી. આ બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં એ વાત પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી કે પાણીનું એક પણ ટીપું પણ પાકિસ્તાન ન જવા દેવું જોઈએ.
પાણી રોકવાના રસ્તાઓ પર તાત્કાલિક કામ શરૂ થશે
અમિત શાહ અને સીઆર પાટિલ વચ્ચેની બેઠકમાં એવું નક્કી થયું કે પાણી રોકવા માટે દરેક પદ્ધતિ પર તાત્કાલિક કામ શરૂ કરવામાં આવે. આ બંને નેતાઓ વચ્ચે ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની વ્યૂહરચનાઓની પણ ચર્ચા થઈ. સિંધુ જળ સંધિ મુદ્દે અમિત શાહ સાથે મિટિંગમાં ફક્ત પાટિલ જ હાજર હતા. ભારત ખાતરી કરશે કે પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન ન જાય.
પાણી કેવી રીતે વાળવામાં આવશે?
ગૃહમંત્રી અમિત શાહ અને સીઆર પાટિલ વચ્ચેની બેઠકમાં સિંધુ નદીના પાણી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સિંધુ નદીમાંથી કાંપ કાઢવાનું અને ડ્રેજિંગ કરવાનું કામ તાત્કાલિક શરૂ થશે. પાણીને વાળવાની વ્યૂહરચના પર પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી. આ પાણીને પાણીની અછતનો સામનો કરી રહેલી નદીઓમાં પણ વાળી શકાય છે. આ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે અને બંધ બનાવવા માટે કેવી રીતે કરવો તે અંગે વિગતવાર ચર્ચા થઈ.
1960માં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા
ભારત સરકારે વર્ષ 1960ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ભારતે ગુરુવારે પાકિસ્તાનને આ સંદર્ભમાં એક ઔપચારિક પત્ર પણ જાહેર કર્યો છે. આ પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સંધિને સ્થગિત કરવાનો નિર્ણય ભારત સરકારે સંપૂર્ણ વિચાર-વિમર્શ પછી લીધો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1960માં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા.
પાકિસ્તાનની 80 ટકા કૃષિ સિંચાઈ સિંધુ નદીની જળ વ્યવસ્થા પર આધારિત
આ કરાર હેઠળ પાકિસ્તાનને સિંધુ, ઝેલમ અને ચિનાબના પાણીના અધિકારો મળ્યા હતા અને ભારતને રાવી, બિયાસ અને સતલજના પાણીના અધિકારો મળ્યા હતા. પાકિસ્તાનની લગભગ 80 ટકા કૃષિ સિંચાઈ સિંધુ નદીની જળ વ્યવસ્થા પર આધારિત છે. સિંધુ જળ સંધિ પર ભારતનો પ્રતિબંધ પાકિસ્તાનમાં પાણીની કટોકટી પેદા કરશે અને તેની અસર કૃષિ પર પડશે.