પહેલગામ આતંકી હુમલોઃ ચાર બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો, આજે હતો જન્મ દિવસ

સુરતઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 લોકોનાં મૃત્યુ થયા છે. જેમાં ત્રણ ગુજરાતી પણ છે. બુધવારે વહેલી સવારે ભાવનગરમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. આ બંને ગઈકાલથી ગુમ હતા. મંગળવારે સુરતના શૈલષભાઈ હિંમતભાઈ કળથિયાનું મોત થયું હતું. શૈલેષભાઈના પત્ની અને સંતાનોનો બચાવ થયો હતો. પરિવારજનોની નજર સામે જ શૈલેષભાઈ મોતને ભેટતાં પરિવારજનો હતભ્રત થઈ ગયા હતા. મૃતક શૈલેષભાઈ ચાર બહેનોના એકના એક ભાઈ હતા. આતંકી હુમલામાં ભાઈનું મોત થયાના સમાચાર મળતાં જ બહેનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
સુરતના વરાછાના ચીકુવાડી વિસ્તારની હરીકુંજ સોસાયટીના વતની અને મુંબઇ જ રહેતા તથા એસબીઆઇમાં નોકરી કરતા 44 વર્ષીય શૈલેષભાઇ હિંમત કળથિયા તેમની પત્ની શિતલ, પુત્રી અને પુત્ર સાથે મુંબઇથી કાશ્મીર ફરવા માટે ગયા હતા. સરનવેલીમાં પહેલગામથી ઘોડા પર બેસીને કુદરતના સૌદર્યને નિહાળતા હતા તે દરમિયાન અંધાધૂંધ ગોળીબાર થયો હતો. જેમાં તેમનું મૃત્યુ થયું હતું. શૈલેષભાઈ ચાર બહેનોમાં એકના એક ભાઈ હતા. માતાના અવસાન બાદ પિતા બે વર્ષથી વતનમાં રહે છે. શૈલેષભાઈ એસબીઆઈમાં નોકરી કરતા હતા. જોકે, છેલ્લા એક વર્ષથી મુંબઇની એસબીઆઈમાં કામ કરી ત્યાં જ પરિવાર સાથે રહેતા હતા. આ પહેલા નવ વર્ષ તેમણે વડોદરાની એસબીઆઈમાં નોકરી કરી હતી અને ત્યાં જ રહેતા હતા.
આપણ વાંચો: જમ્મુ અને કાશ્મીર: બારામુલ્લાના ઉરીમાં 2 આતંકી ઠાર કરાયા
મૃતક શૈલેષભાઈનો 23 એપ્રિલના રોજ જન્મ દિવસ હતો. તેઓ પરિવાર સાથે જન્મ દિવસ ઉજવવા કાશ્મીર ગયા હોવાનું માનવામાં આવે છે, પરંતુ આતંકી હુમલામાં તેમના મૃત્યુથી પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો. પહેલગામ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીના મોતથી રાજ્યમાં શોક ફેલાયો હતો. રાજ્ય સરકારના પ્રધાનો અને નેતાઓએ કાર્યક્રમો રદ્દ કર્યા હતા. જાહેર કાર્યક્રમો અને સૂમહ લગ્નોમાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં પ્રધાનો ઉપસ્થિત રહેશે નહીં.