નેશનલ

ઓવૈસીનો ભાજપ પર પ્રહાર: ચીન-પાક નિકટતા અને ઘૂસણખોરી કેમ અવગણાય છે?

નવી દિલ્હી: પોતાના આકરા નિવેદનોને લઈને સતત ચર્ચાનું કેન્દ્ર બની રહેતા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર ગંભીર આરોપો લગાવ્યા છે. ભાજપ ભારતમાં બાંગ્લાદેશી પ્રવાસીઓની ઘૂસણખોરી અંગે જોરશોરથી વાત કરે છે, પરંતુ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી નિકટતા તેમજ ચીન દ્વારા બાંગ્લાદેશમાં એક વાયુસૈનિક અડ્ડાના નિર્માણને અવગણી રહ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

ગૃહ પ્રધાન અને ગુપ્તચર એજન્સી શું કરી રહી છે?

આજે પરભણીમાં એક રેલીને સંબોધતા ઓવૈસીએ જણાવ્યું કે, ભાજપ નેતાઓ ભારતના પડોશી દેશોની સરહદો પર ઊભી થયેલી સ્થિતિને સમજવામાં અસમર્થ લાગે છે. તેમણે પ્રશ્ન કર્યો કે, “તેઓ બાંગ્લાદેશીઓના ભારતમાં ગેરકાયદે રીતે વસવાટ કરવાની વાત કરતા રહે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ગુપ્તચર એજન્સી અને સીમા સુરક્ષા બળ (BSF) આ બધું શું કરી રહ્યા છે?”

બાંગ્લાદેશ-પાકિસ્તાન નૌસેનાનું સંયુક્ત યુદ્ધાભ્યાસ

ઓવૈસીએ દાવો કર્યો કે બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર સત્તામાં આવ્યા બાદ બાંગ્લાદેશ અને પાકિસ્તાનની નૌસેનાઓ સંયુક્ત યુદ્ધાભ્યાસ કરી રહી છે. તેમણે ચેતવણી આપી કે, પાકિસ્તાની નેતાઓ પોતાના બાંગ્લાદેશી સમકક્ષોને મળી રહ્યા છે અને બાંગ્લાદેશ સરહદ પર ચીન પોતાનો વાયુસેનાનો અડ્ડો બનાવી રહ્યું છે. જો યુદ્ધ ફાટી નીકળશે તો તે ત્રણ મોરચા સુધી ફેલાઈ જશે. આ ખતરાઓ પર વિચાર કરવાને બદલે ભાજપના કાર્યકર્તાઓ માત્ર બાંગ્લાદેશથી ગેરકાયદે સ્થળાંતર વિશે વાત કરતા રહે છે.

આપણ વાંચો હિમાચલ પ્રદેશમાં શિમલા, મંડી સહિત 18 જગ્યાએ ભૂસ્ખલનનું જોખમ, ત્રણનાં મોત…

મરાઠી ભાષાની પ્રાથમિકતા પર બોલ્યા ઓવૈસી

ઓવૈસીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા શાળાઓમાં ત્રિ-ભાષા ફોર્મ્યુલાના અમલીકરણ સંબંધિત બે સરકારી આદેશો રદ કરવાના નિર્ણય અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ નિર્ણય મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાની પ્રાથમિકતાનું સમર્થન કરતા લોકોના વિરોધ બાદ લેવામાં આવ્યો હતો. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ ભારપૂર્વક જણાવ્યું કે, વિવિધતા એ ભારતની ઓળખ અને વિશેષતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button