‘અમે હનુમાનજીના આદર્શોનું પાલન કર્યું’, ઓપરેશન સિંદૂર અંગે રાજનાથ સિંહે આવું કેમ કહ્યું?

નવી દિલ્હી: ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) હાથ ધરીને પાકિસ્તાનમાં કાર્યરત આતંકવાદી સંગઠનોને 9 ઠેકાણા નષ્ટ કર્યા છે, જેમાં 28 આતંકવાદીઓના મોતના અહેવાલ છે. બીજી તરફ પાકિસ્તાન તરફથી એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ભારતના રોકેટમારામાં બાળકો સહીત નાગરિકોના મોત થયા છે. હવે ભારતના સંરક્ષણ પ્રધાને સ્પષ્ટતા કરી ખોટા દાવા કરનારાને કડક શબ્દોમાં જવાબ આપ્યો છે.

બુધવારે 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO)ના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ(Defense minister Rajntah Singh) ભારતીય સેનાની હિંમત અને બહાદુરીની પ્રશંસા કરી હતી.
‘હનુમાનજીના આદર્શોનું પાલન…’
સંબોધન દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રામ ભક્ત હનુમાનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારત હનુમાનજીના આદર્શોનું પાલન કરે છે. દેશનું માથું ગર્વથી ઊંચું થઇ ગયું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક નિવેદનમાં કહ્યું, “કોઈ પણ નાગરિક સ્થળ પર હુમલો કરવામાં આવ્યો નથી. અમારી સેનાના ટાર્ગેટ્સ ખૂબ જ સચોટ હતાં. સેનાએ હનુમાનજીની માફક હુમલો કર્યો. અમે ફક્ત એ લોકોને જ માર્યા જેમણે નિર્દોષ લોકોને માર્યા હતાં. હું ભારતીય સેનાની બહાદુરીને સલામ કરું છું. અમે હનુમાનજીના આદર્શોનું પાલન કર્યું.”
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, “ભારતે જવાબ આપવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો. અમે ફક્ત એ જ લોકોને જ માર્યા જેમણે અમારા નિર્દોષ લોકોને માર્યા હતાં.”