પદ્મશ્રી એવોર્ડના વિવાદમાં ઓડિશા હાઇ કોર્ટે એક જ નામના 2 દાવેદારને પાઠવ્યા સમન્સ
![Odisha HC Summons Two Claimants in Padma Shri Dispute](/wp-content/uploads/2025/02/Odisha-HC-Summons-Two-Claimants-in-Padma-Shri-Dispute.webp)
કટકઃ ઓડિશા હાઇ કોર્ટે એક જ નામના બે વ્યક્તિને નોટિસ ફટકારી ૨૪ ફેબ્રુઆરીએ પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે. આ બંનેએ દાવો કર્યો હતો કે તેમને ૨૦૨૩ના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
વર્ષ ૨૦૨૩ના પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓની યાદીમાં ઓડિશાના શ્રી અંતર્યામી મિશ્રાનું નામ ૫૬માં ક્રમે છે, જેમને સાહિત્ય અને શિક્ષણમાં તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવશે.
આ પણ વાંચો: પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી મેળવનારાઓને મળે છે આ ખાસ સુવિધાઓ, જાણી લો…
વ્યવસાયે પત્રકાર અંતર્યામી મિશ્રાએ નવી દિલ્હી જઇને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. બાદમાં ડોક્ટર ડો. અંતર્યામી મિશ્રાએ હાઇકોર્ટમાં અરજી કરતાં દાવો કર્યો હતો કે તેમના નામના વ્યક્તિએ તેમના સ્વાંગમાં પુરસ્કાર મેળવ્યો છે.
રિટ પિટિશન દાખલ કરતા ડોક્ટરે દાવો કર્યો હતો કે તેમણે ઓડિયા અને અન્ય ભારતીય ભાષાઓમાં ૨૯ પુસ્તક લખ્યા છે, જેના કારણે તેમનું નામ ૨૦૨૩ માટે પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: VIDEO: પદ્મશ્રી સન્માનિત થવા પર ગુજરાતી આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ શું કહ્યું?
અરજદારના મતે પત્રકારના નામે કોઇ પુસ્તક નથી. મંગળવારે સુનાવણી દરમિયાન ન્યાયાધીશ એસ કે પાણિગ્રહીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આકરી ચકાસણી પ્રક્રિયા થતી હોવા છતાં સમાન નામોને કારણે મૂંઝવણ ઊભી થઇ હતી. જેનાથી પસંદગી પ્રક્રિયાની વિશ્વસનીયતા અંગે ચિંતા પેદા થઇ હતી.
કોર્ટે બંને દાવેદારોને તેમના દાવાઓની પુષ્ટિ કરવા માટે તમામ પ્રકાશનો અને સામગ્રીઓ સાથે શારીરિક હાજરી આપવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસમાં ભારત સંઘ સહિત પ્રતિવાદીઓને પણ નોટિસ જારી કરવામાં આવી છે.