Bihar Politics: બિહારમાં રાજકીય ખળભળાટ! નીતિશ કુમાર અચાનક રાજ્યપાલને મળવા પહોંચ્યા

પટના: બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર આજે સવારે રાજ્યપાલને મળવા માટે અચાનક રાજભવન પહોંચી ગયા હતા, આ મુલાકાત અંગે બિહારના રાજકારણમાં ખળભળાટ થવા શંકા સેવાઈ રહી છે. જનતા દળ યુનાઈટેડ(JDU)ના વરિષ્ઠ નેતા વિજય ચૌધરી પણ મુખ્ય પ્રધાનની સાથે છે.
નીતિશ કુમાર બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ સાથે એક સરકારી કાર્યક્રમમાં હતા. અહીંથી તેઓ વિજય ચૌધરી સાથે સીધા રાજભવન પહોંચ્યા હતા. રાજભવનની મુલાકાતનું અગાઉથી કોઈ આયોજન નહોતું. તેઓ અચાનક રાજભવન પહોંચી ગયા હતા.
રાજભવન પહોંચતા પહેલા નીતિશ કુમારે એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીંથી તેઓ સીધા રાજભવન પહોંચ્યા.
આજે સવારે બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન જીતનરામ માંઝીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બિહારના રાજકારણમાં નવાજુની થવાના સંકેત આપ્યા હતા. પરંતુ તેમણે કોઈ સ્પષ્ટતા કરી ન હતી, ત્યારે નીતિશ કુમાર અને રાજ્યપાલની મુલાકત પર નજર રહેશે.
બિહારના રાજકીય વર્તુળોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરુ થઇ છે.
છેલ્લા કેટલાક સમયથી નીતિશના NDAમાં પાછા જોડવાની અટકળો ચાલી રહી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નિવેદન આપતાં આ અટકળોએ વેગ પકડ્યો હતો. એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે જેડીયુ અને નીતીશ કુમારના એનડીએમાં પાછા ફરવાની સંભાવના પર ટિપ્પણી કરી હતી. તેમને પૂછવામાં આવ્યું કે શું નીતિશ કુમાર માટે એનડીએના દરવાજા હજુ પણ ખુલ્લા છે? તેના જવાબમાં ગૃહ પ્રધાન શાહે કહ્યું- જો પ્રસ્તાવ આવશે તો અમે તેના પર વિચાર કરીશું.

બિહાર બીજેપી નેતા સંજય સરોગીએ કહ્યું હતું કે, ‘હાલમાં નીતીશ કોંગ્રેસ, લાલુ અને તેજસ્વીની સાથે INDIA ગઠબંધનમાં છે. આ ગઠબંધનનું કોઈ ભવિષ્ય નથી. જો નીતિશ કુમાર ભાજપની સદસ્યતા લઈને પાર્ટીમાં જોડાય છે તો અમે તેમનું સ્વાગત કરવા તૈયાર છીએ. સીટોની વહેંચણી બાબતે ગઠબંધનમાં ઝઘડો ચાલી રહ્યો છે.”