ભાજપના સાંસદે કહ્યું “તમે જેલમાં જાવ છો તો તમારા ચિદમ્બરમ સાહેબના કાયદાના લીધે, અમારી સરકાર તો….

નવી દિલ્હી: સંસદમાં નાણાં વિધેયક પર ચર્ચા દરમિયાન ઝારખંડથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. નિશિકાંત દુબેએ અગ્નિવીરથી લઈને જાતિ ગણતરી, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો, ED દ્વારા PMLA હેઠળની ધરપકડ સહિત કાર્યવાહી વિશે વાત કરી વિપક્ષના તમામ આરોપોનો વળતો જવાબ આપ્યો હતો. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ અંગે ઘણી ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી.
નિશિકાંત દુબેએ કહ્યું કે 1988માં રાજીવ ગાંધી આ ગૃહમાં બેનામી ટ્રાન્ઝેક્શન બિલ લાવ્યા હતા. 30 વર્ષમાં તેના નિયમો ન ઘડી શકાયા. તેમણે કહ્યું કે તમે એમ ન કહી શકો કે અમે સત્તામાં નહોતા, તમારી સરકારો પણ હતી. અને તમે અમને પૂછો કે કોણ ક્યાં ગયો અને ક્યાં પકડાયો. તમે કોને સાથ આપતા હતા? નિશિકાંત દુબેએ કહ્યું કે ડિસેમ્બર 2012માં બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટમાં સુધારો કરવા માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. મારી બેઠક નંબર 545 હતી, છેલ્લી બેંચ. ભાજપ તરફથી બોલવા ઊભો થયો અને બીજી બાજુથી ચિદમ્બરમ સાહેબ હતા.
તેમણે કહ્યું કે ત્યારે મેં કહ્યું હતું કે તમે આ કાયદો લાવી રહ્યા છો, જો પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય તો પણ પીએમએલએ લાદવામાં આવી શકે છે. એવું બની શકે કે તમે પોતે જ એક દિવસ જેલમાં જાવ. નિશિકાંત દુબેએ કહ્યું કે ચિદમ્બરમે તે સમયે ભાજપને શિક્ષિત લોકોની પાર્ટી ગણાવી હતી અને કહ્યું હતું કે બોલવા માટે એક મૂર્ખને ઊભો કરી દેવામાં આવ્યો છે જેને પીએમએલએ શું છે તે પણ ખબર નથી. નેશનલ હેરાલ્ડ કેસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધીજી જ્યારે તમે 750 કરોડ રૂપિયાની સંપત્તિ 90 કરોડ રૂપિયામાં ખરીદો છો, તો શું તમે ચિદમ્બરમ સાહેબના કાયદા મુજબ જેલમાં નહીં જાઓ. અમારી સરકાર તો માત્ર તેનો અમલ કરે છે.
આ પણ વાંચો :ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું “ઝારખંડમાં 10 ટકા આદિવાસી ગાયબ થયા જ્યારે મુસ્લિમ વસ્તીમાં…”
નિશિકાંત દુબેએ નાણાં બિલ પર ચર્ચા કરતાં સુષ્મા સ્વરાજની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે અમે ઘણું A1,A2 સાંભળ્યું છે. અમારા પર બે ઉદ્યોગપતિઓને મદદ કરવાનો આરોપ છે. આ દેશમાં અગાઉ પણ લાઇસન્સ પરમિટ ક્વોટા DBT સ્કીમ હતી, દાલમિયા, બિરલા, ટાટાનું નામ લઈ વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેઓ ચૂંટણીમાં ડોનેશન પણ લે છે, લગ્નમાં જાય છે, ખાય છે અને ગાળો પણ આપે છે. આટલો નિમ્ન વિરોધ પક્ષ આપણે ક્યારેય જોયો નથી. નિશિકાંત દુબેએ કહ્યું કે તમે જેને હવે A2 કહી રહ્યા છો, શું તમે ઈચ્છો છો કે આ કંપનીઓ બંધ થઈ જાય. વિપક્ષમાં એવું કોણ છે જે લગ્નમાં ના ગયા? પ્રિયંકા ગાંધી કે જેઓ તેમની પાર્ટીના મહાસચિવ છે. શું તે લગ્નમાં નહોતા ગયા?
તેમણે રાહુલ ગાંધીને એલઓપી એટલે કે લિપ્સ ઓફ પેરટ તરીકે સંબોધિત કરીને કહ્યું કે આજે સમગ્ર વિશ્વની શું હાલત છે કે જેની નીતિઓ કોંગ્રેસથી પ્રભાવિત છે. આખી દુનિયામાં દુકાનો બંધ જોવા મળશે. બેરોજગારીની સ્થિતિ ભયંકર છે, મોંઘવારી દરની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે. નિશિકાંત દુબેએ કહ્યું કે જો તમે કોઈ પણ ધોરણે આખી દુનિયાને જુઓ તો તમને લાગશે કે વડાપ્રધાન અને નાણામંત્રીની નીતિઓ આશાનું કિરણ છે.