ટોપ ન્યૂઝનેશનલ

“આ એક ખતરનાક માનસિકતા” ₹નાં પ્રતિકને હટાવવા મુદ્દે નિર્મલા સીતારમને કર્યા DMKને પ્રશ્ન

Nirmala Sitharaman,DMK Stalin,₹ symbol

નવી દિલ્હી: તમિલનાડુમાં હિન્દી ભાષાનાં વિરોધનો વિવાદ હવે જોર પકડી રહ્યો છે. ત્યારે હવે તમિલનાડુ સરકારે રાજ્યના બજેટ 2025-26 દસ્તાવેજોમાંથી રૂપિયાના સત્તાવાર પ્રતીક ‘₹’ ને દૂર કરી નાખતા આ વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ મુદ્દે હવે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે પ્રશ્ન કર્યો કે જો ડીએમકેને રૂપિયાના પ્રતીકથી સમસ્યા હતી, તો તેણે 2010 માં જ્યારે તે યુપીએ સરકારનો ભાગ હતી ત્યારે તેને સત્તાવાર રીતે અપનાવવા સામે કેમ વાંધો ન ઉઠાવ્યો?

2010 માં કેમ વિરોધ ન કર્યો?
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “DMK સરકારે તમિલનાડુ બજેટ 2025-26 દસ્તાવેજોમાંથી સત્તાવાર રૂપિયા પ્રતીક ‘₹’ દૂર કરી દીધો હોવાના અહેવાલ છે, જે આવતીકાલે રજૂ કરવામાં આવશે. જો DMK ને ‘₹’ સાથે સમસ્યા છે, તો તેણે 2010 માં તેનો વિરોધ કેમ ન કર્યો જ્યારે તેને કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકાર હેઠળ સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યું હતું, તે સમયે જ્યારે DMK કેન્દ્રમાં શાસક ગઠબંધનનો ભાગ હતો. વિડંબના એ છે કે ‘₹’ને DMKના ભૂતપૂર્વ ધારાસભ્ય એન. ધર્મલિંગમના પુત્ર ટી.ડી. ઉદય કુમાર દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. હવે તેને ભૂંસી નાખીને, DMK માત્ર રાષ્ટ્રીય પ્રતીકને નકારી રહ્યું નથી પરંતુ તમિલ યુવાનના સર્જનાત્મક યોગદાનને સંપૂર્ણપણે અવગણી રહ્યું છે.”

તમિલ શબ્દ ரூபாய் સંસ્કૃત શબ્દ રૂપ્યા પરથી આવ્યો
આગળ તેમણે કહ્યું હતું કે, “વધુમાં તમિલ શબ્દ ‘રૂપાઈ’ (ரூபாய்) પોતે સંસ્કૃત શબ્દ ‘રૂપ્યા’ માં ઊંડા મૂળ ધરાવે છે, જેનો અર્થ ‘દટાયેલ ચાંદી’ અથવા ‘ચાંદીનો સિક્કો’ થાય છે. આ શબ્દ સદીઓથી તમિલ વેપાર અને સાહિત્યમાં તેમનો પડઘો પાડે છે, અને આજે પણ, તમિલનાડુ અને શ્રીલંકામાં ‘રૂપાઈ’ ચલણનું નામ રહે છે. હકીકતમાં, ઇન્ડોનેશિયા, માલદીવ્સ, મોરેશિયસ, નેપાળ અને શ્રીલંકા સહિત ઘણા દેશો સત્તાવાર રીતે ‘રૂપિયા’ અથવા તેના ‘સમતુલ્ય/વ્યુત્પન્ન’નો ઉપયોગ તેમના ચલણ નામ તરીકે કરે છે.

પ્રાદેશિક ગૌરવના બહાને અલગતાવાદને પ્રોત્સાહન
તેમણે આગળ કહ્યું હતું કે બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ આપણા રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને અખંડિતતાને જાળવી રાખવા માટે બંધારણ હેઠળ શપથ લે છે. રાજ્યના બજેટ દસ્તાવેજોમાંથી ‘₹’ જેવા રાષ્ટ્રીય પ્રતીકને દૂર કરવું એ શપથનો ભંગ છે, જે રાષ્ટ્રીય એકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને નબળી પાડે છે. આ ફક્ત પ્રતીકવાદ કરતાં વધારે છે – તે એક ખતરનાક માનસિકતાનો સંકેત આપે છે જે ભારતીય એકતાને નબળી પાડે છે અને પ્રાદેશિક ગૌરવના બહાને અલગતાવાદી લાગણીઓને પ્રોત્સાહન આપે છે. ભાષા અને પ્રાદેશિક અરાજકતાનું સંપૂર્ણપણે ટાળી શકાય તેવું ઉદાહરણ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button