નેશનલ

વરસાદને કારણે કાશ્મીરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ, ૨૦૦થી વધુ પ્રવાસીને બચાવાયા

જમ્મુઃ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(એનએચએઆઇ)ના અધિકારીઓએ હવામાનની સ્થિતિમાં સુધારો થયા બાદ રવિવારે સવારે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરી માર્ગ પર વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો તેજ કર્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે જોડતો એકમાત્ર હાઇ-વે બીજા દિવસે પણ બંધ રહ્યો હતો. પોલીસે રામબન જિલ્લામાં ૨૦૦થી વધુ પ્રવાસીઓ સહિત મોટી સંખ્યામાં ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે રામબનમાં દલવાસ, મેહદ-કાફેટેરિયા અને હિંગની સહિત બનિહાલ અને નાશરી વચ્ચે એક ડઝનથી વધુ સ્થળોએ ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને ભેખડો ધસી પડવાથી શનિવારે વહેલી સવારે ૨૭૦ કિમીનો હાઇ-વે બંધ કરવામાં આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પંથીયાલ નજીક રોડનો એક ભાગ પણ ધોવાઇ ગયો છે. ટ્રાફિક વિભાગે જણાવ્યું હતું કે હાઇવે હજુ પણ બ્લોક છે અને જ્યાં સુધી રોડનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી હાઇવે પર મુસાફરી કરવાનું ટાળવાની લોકોને સલાહ છે. રવિવારે સવારે હવામાનમાં સુધારો થયા બાદ એનએચએઆઇએ મુખ્ય માર્ગને વહેલી તકે વાહનવ્યવહાર માટે કાર્યરત કરવાના પ્રયાસો તેજ કર્યા છે.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે રામબનના બાઓલી બજાર વિસ્તારમાં મોટા ભૂસ્ખલનને કારણે ફસાયેલા અનેક પરિવારોને શનિવારે મોડી રાત્રે બચાવી લેવામાં આવ્યા હતા. પ્રવક્તાએ જણાવ્યું હતું કે કાશ્મીરથી પરત ફરતી વખતે બનિહાલમાં ફસાયેલા કેરળના ૨૦૦થી વધુ પ્રવાસીઓને શનિવારે રાત્રે સુરક્ષિત આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવ્યા હતા અને ખોરાક, ધાબળા અને રજાઇ જેવી જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.

જમ્મુ-શ્રી નગર હાઇવે ૨૬ ફેબ્રુઆરીથી માત્ર એક બાજુ ટ્રાફિક માટે ખુલ્લો છે. ગયા અઠવાડિયે ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે મુખ્ય માર્ગને ઘણી જગ્યાએ નુકશાન થયા બાદ જમ્મુ અને શ્રી નગરથી વૈકલ્પિક રીતે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Astrology marriage dates warning “Discover the Magic of Morning Chews” Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties”