જ્ઞાનવાપી કેસઃ હાઇ કોર્ટે હિંદુ પક્ષને સર્વે રિપોર્ટ દાખલ કરવા આપ્યો આદેશ

પ્રયાગરાજઃ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા વજુખાનાના સર્વેક્ષણની માગણી કરતી રિવિઝન પિટિશન પર અલાહાબાદ હાઇકોર્ટે અરજદારના એડવોકેટને અગાઉના સર્વેનો રિપોર્ટ ફાઇલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી હવે 22 ઓક્ટોબરે થશે. મંગળવારે જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની બેંચમાં રાખી સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થઈ હતી. અરજદારના એડવોકેટ સૌરભ તિવારીએ પૂરક એફિડેવિટ દાખલ કરી હતી.
આ કેસમાં મુસ્લિમ પક્ષે પણ કાઉન્ટર એફિડેવિટ દાખલ કરી હતી. અગાઉની સુનાવણીમાં, કોર્ટે અરજદારના એડવોકેટને સહ-પત્ની લક્ષ્મી દેવી અને અન્ય વતી વારાણસી કોર્ટમાં શિવલિંગ જેવી આકૃતિના ASI સર્વેક્ષણની માંગણી રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
મંદિર પક્ષનું કહેવું છે કે જ્ઞાનવાપી સંકુલની ધાર્મિકતા નક્કી કરવા માટે શિવલિંગની આસપાસના વિસ્તારનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે ASI દ્વારા 24 જુલાઈથી 2 નવેમ્બર, 2023 દરમિયાન કરવામાં આવેલા વૈજ્ઞાનિક સર્વેક્ષણમાં શિવલિંગ જેવી આકૃતિ (વજુખાના)ની આસપાસનો વિસ્તાર સામેલ નથી. હાઈકોર્ટે અરજદારના એડવોકેટને પૂછ્યું હતું કે જ્યારે શિવલિંગના વૈજ્ઞાનિક સર્વેક્ષણ અંગે હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે તો આ કોર્ટ આવો આદેશ કેવી રીતે આપી શકે?
એડવોકેટ સૌરભ તિવારીના જણાવ્યા અનુસાર, રાખી સિંહની હાલની રિવિઝન અરજી એએસઆઈની શિવલિંગ સિવાયના બાકીના વિસ્તારનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની માગણી વિશે છે અને તે લક્ષ્મી દેવીની અરજીથી અલગ છે.