ખરાબ હવામાનના કારણે 11 જૂન સુધી ટળ્યું એક્સિઓમ-4નું પ્રક્ષેપણ, શુભાંશુએ કહી આ વાત…

નવી દિલ્હીઃ ખરાબ હવામાનને કારણે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર જનારા અવકાશયાન એક્સિઓમ-4 – નું પ્રક્ષેપણ 11 જૂન સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. આ માહિતી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) દ્વારા આપવામાં આવી હતી
ઇસરોના અધ્યક્ષ વી. નારાયણને સોમવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર જનારા યાન – એક્સિઓમ-4 મિશનનું પ્રક્ષેપણ 10 જૂનના બદલે 11 જૂન, 2025 સુધી મોકૂફ રાખવામાં આવ્યું છે. પ્રક્ષેપણનો આગામી સંભવિત સમય 11 જૂન, 2025 ના રોજ સાંજે 5:30 વાગ્યે ભારતીય સમય છે.
આ મહત્વાકાંક્ષી અભિયાન હેઠળ ભારત ટૂંક સમયમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. ભારતના શુભાંશુ શુક્લા હવે અવકાશમાં જનારા બીજા ભારતીય બનવાના છે. એટલું જ નહીં, તેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનમાં પહોંચનારા પ્રથમ ભારતીય પણ હશે. આ મિશન અમેરિકાની અવકાશ અભિયાનો સાથે સંકળાયેલી કંપની એક્સિઓમ સ્પેસ અને નાસાના સહયોગથી હાથ ધરવામાં આવ્યું છે. એલન મસ્કની સ્પેસએક્સ પણ આ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ મિશનમાં શુભાંશુ સાથે અન્ય ત્રણ અવકાશયાત્રીઓ પણ સામેલ રહેશે. શુભાંશુ શુક્લા આ અભિયાન દરમિયાન અનેક વૈજ્ઞાનિક મિશનો પાર પાડશે. શુભાંશુએ આ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમને આશા છે કે તેમની આ અવકાશ યાત્રા ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપવાનું કામ કરશે. તેમણે કહ્યું કે તેઓ આઈએસએસ પર એક અંગત એજન્ડા સાથે પણ જઈ રહ્યા છે. ત્યાં તેઓ પોતાના અનુભવોને તસવીરો અને વીડિયો દ્વારા એકત્રિત કરશે. શુભાંશુએ કહ્યું, બધા ભારતવાસીઓ મારી આંખોથી જોયેલી વસ્તુઓને જાતે અનુભવી શકે તે માટે હું આ અનુભવોને શેર કરીશ. હું ભલે એક વ્યક્તિ તરીકે આ યાત્રા કરી રહ્યો છું, પરંતુ આ સફર 140 કરોડ લોકોની છે.