Narendra Modi ભાજપના માર્ગદર્શક મંડળમાં? ભાજપની વેબસાઈટની થઈ રહી છે ચર્ચા
![Modi 3.0: Who won the lottery this time in PM Modi Raj?](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/pm-modi-8-1.webp)
નવી દિલ્હીઃ ભાજપના માર્ગદર્શક મંડળમાં એ વ્યક્તિને જ સ્થાન મળે જેમને જાહેર રાજકારણમાં હવે ખાસ કંઈ કરવાનું ન હોય, આવી માન્યતા છે. 2014માં જ્યારે અમિત શાહ ભાજપના અધ્યક્ષ હતા ત્યારે માર્ગદર્શક મંડળની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે તેમાં પાંચ નેતાઓના નામ હતા. આ મંડળ જાહેર જીવનમાંથી નિવૃત્તિ લીધેલા નેતાઓ માટે હોવાની એક છબિ ઊભી થ ત્યારે આ મંડળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ હાઈલાઈટ થતાં અટકળો તેજ થઈ છે. જોકે હકીકત એમ છે કે આ મંડળ જ્યારે 2014માં બન્યું ત્યારથી તેમાં નરેન્દ્ર મોદીનું નામ છે. પાંચ નેતાઓમાં અટલ બિહારી વાજપેયી, નરેન્દ્રભાઈ મોદી, લાલ કૃષ્ણ અડવાણી, ડૉ. મુરલી મનોહર જોશી અને રાજનાથ સિંહનો સમાવેશ થાય છે. 26 ઓગસ્ટ 2014ના રોજ ભાજપે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આ જાણકારી આપી હતી.
ભારતીય જનતા પાર્ટી (BJP)ની વેબસાઇટ ( https://bjp.org ) પર માર્ગદર્શક મંડળમાં નરેન્દ્ર મોદીનું નામ અને તસવીર પણ સામેલ કરવામાં આવી છે. આ તસવીરને લઈને લોકો સોશિયલ સાઈટ પર વિવિધ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. માર્ગદર્શક મંડળમાં નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહના નામ નવા નથી. તે હવે ભાજપની વેબસાઈટ પર હાઈલાઈટ થઈ રહ્યા છે.
2014માં જ 26 મેના રોજ નરેન્દ્ર મોદીએ પહેલીવાર વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. જ્યારે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે અડવાણીને તે ન ગમ્યું હોવાનું કહેવાતું હતું. જોકે એક સમયે અડવાણી મોદી વચ્ચે નિકટના સંબંધો હતા અને અડવાણીએ મોદીને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ઘણું સમર્થન આપ્યું હતું.