ભારતની રાષ્ટ્રીય ભાષા અંગે સ્પેનમાં શું બોલ્યા સાંસદ કનિમોઝી? વાયરલ થયું નિવેદન

ઓપરેશન સિંદૂરના પ્રચાર અને પાકિસ્તાનની મેલી મુરાદને વિશ્વ સમક્ષ ખુલ્લી પાડવા માટે ભારત સરકાર દ્વારા ઓલ પાર્ટી ડેલિગેશનને જુદાજુદા દેશોમાં મોકલવામાં આવ્યું છે. જેમાં દરેક પાટીના નેતાઓનો સમાવેશ થાય છે. ડીએમકે પાર્ટીના સાંસદ કનિમોઝી કરુણાનિધિ સાથેનું ડેલિગેશન સ્પેન ખાતે પહોંચ્યું છે. જ્યાં સાંસદ કનિમોઝીએ ભારતની રાષ્ટ્રીય ભાષા અંગે નિવેદન આવ્યું છે. જે વાયરલ થયું છે.
સ્પેન ખાતે સાંસદ કનિમોઝીએ ભારતીય સમુદાયનું સંબોધન કર્યું હતું. જ્યાં તેઓને મીડિયા દ્વારા ભારતની રાષ્ટ્રીય ભાષા કંઈ છે? એવો સવાલ કરવામાં આવ્યો હતો. જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, “ભારતની રાષ્ટ્રભાષા એકતા અને વિવિધતા છે. આ ડેલિગેશન વિશ્વમાં આ સંદેશ પહોંચાડી રહ્યું છે. જે આજના સમયમાં મહત્ત્વપૂર્ણ છે.”
આ પણ વાંચો: વિશ્વ સમક્ષ પાકિસ્તાનના આતંકી ચહેરોનો પર્દાફાશ કરશે ભારત, આજથી પ્રતિનિધિમંડળો વિવિધ દેશોમાં રવાના…
રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં આપવામાં આવેલી ત્રિભાષા ફોર્મુલાનો દક્ષિણ ભારતના રાજ્યો વિરોધ કરી રહ્યા છે. સાંસદ કનિમોઝીની પાર્ટી ડીએમકે દ્વારા ભાજના નેતૃત્ત્વવાળી સરકારને રાષ્ટ્રીય શિક્ષા નીતિની ત્રિ-ભાષા ફોર્મુલાના માધ્યમથી રાજ્ય પર હિંદી ભાષા લાગુ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેની વચ્ચે સ્પેન ખાતે તેમણે આપેલું નિવેદન હાલ ચર્ચામાં આવ્યું છે.
સાંસદ કનિમોઝીએ પોતાના સંબોધનમાં આતંકવાદ અને તેને પોષનારા દેશ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આગળ જણાવ્યું હતું કે, “ભારત બદલો લેવા માંગતું નથી. ભારત જવાબદારી ઈચ્છે છે. તે ન્યાય માંગે છે. અમે વિશ્વને સમજાવવા માંગીએ છીએ. ભારતને બ્લેકમેઈલ કરી શકાશે નહીં. ભારતને ચૂપ કરી શકાશે નહીં. ભારત ન્યુક્લિયર હથિયારોથી સજ્જ દેશ છે. ભારત ચૂપચાપ કશું સહન કરશે નહીં.”
આ પણ વાંચો: રશિયામાં ભારતીય પ્રતિનિધિમંડળનું વિમાન ડ્રોન હુમલાથી માંડ બચ્યું
તેમણે આતંકવાદ અંગે જણાવ્યું કે, “અમે વિશ્વને આ સંદેશો આપવા માંગીએ છીએ. કારણ કે આતંકવાદ કોઈ સીમા જોતો નથી. હિંસા સિવાય તેની કોઈ વિચારધારા હોતી નથી. આ દુનિયા એક સલામત જગ્યા હોવી જોઈએ. આપણે આંતકવાદ અને આતંકી પ્રવૃત્તિને રોકવી જોઈએ. જે દેશ આતંકવાદને પોષે છે, આતંકવાદીઓને શરણ આપે છે અને નાણાકીય મદદ કરે છે. તે આના માટે જવાબદાર છે.”