નેશનલ

ફ્લાઈટમાં ત્રણ વણનોંતર્યા મહેમાન પહોંચ્યા, ભયના ઓછાયામાં પ્રવાસીઓએ કર્યો પ્રવાસ…

હેડિંગ વાંચીને તમને પણ સવાલ થયો ને કે આખરે આટલી બધી હાઈ સિક્યોરિટી અને તેમ છતાં ફ્લાઈટમાં કઈ રીતે ટિકિટ વિના પ્રવાસી ફ્લાઈટમાં પ્રવાસ કરી શકે? એટલું જ નહીં પણ આ અનવોન્ટેડ ગેસ્ટને કારણે બાકીના પ્રવાસીઓએ ભયના ઓછાયા હેઠળ આખો પ્રવાસ કર્યો હતો.

ઘટના મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બની હતી. સવારના ચાર વાગ્યાની આસપાસ એરપોર્ટના ટર્મિનલ-2થી અમદાવાદ જતી ફ્લાઈટ 6E-534માં પેસેન્જરનું બોર્ડિંગ શરૂ થઈ ગયું, એક પછી એક બધા મુસાફરો પ્લેનમાં પ્રવેશ્યા અને પોતપોતાની સીટ પર બેસી ગયા. ફ્લાઈટનું બોર્ડિંગ પૂર્ણ થઈ ગયું હતું અને કેબિન ક્રૂએ એરક્રાફ્ટના દરવાજા બંધ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હતી. પરંતુ અહીં કહાનીમાં ટ્વીસ્ટ આવ્યો.


ફ્લાઇટના દરવાજા બંધ થાય એ પહેલાં જ અચાનક બે-ત્રણ બિન બુલાયે મહેમાનો પણ પ્લેનમાં પ્રવેશ્યા અને એમની પાસે ન તો મુંબઈથી અમદાવાદ જવા માટે કોઈ ટિકિટ હતી કે ન તો બેસવા માટે કોઈ સીટ હતી. આ અનોખા પ્રવાસીઓ તેમને મન થાય ત્યાં બેસી જતા હતા. ક્યારેક તો ત્રણેય પ્રવાસીઓ એક જ સીટ પર એક સાથે બેસી જતાં હતા તો ક્યારેક ત્રણેય અલગ સીટ પર આરામ કરતા જોવા મળતા હતા. કેબિન ક્રૂ દ્વારા પણ આ ત્રણેય મહેમાનોને ડીબોર્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ તેમને એમાં સફળતા મળી નહીં.


ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલાં પ્રવાસીઓને વાત કરીએ તો તેઓ પણ આ મહેમાનોને જોઈને ચોંકી ઉઠ્યા હતા. આશરે એક કલાર પાંચ મિનિટની અમદાવાદ સુધીની મુસાફરી પ્રવાસીઓએ ભયના ઓછાયામાં કરી હતી. ફ્લાઈટ સવારે 5.42 કલાકે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. ફ્લાઈટમાંથી બહાર આવ્યા બાદ ગુસ્સે ભરાયેલા મુસાફરોએ પહેલા આ મહેમાનોના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કર્યું હતું.

હવે તમને થશે કે ભાઈ આખરે આ મહેમાનો હતા કોણ તો આ મહેમાનો હતો મચ્છર. મુંબઈથી અમદાવાદની આ ફ્લાઈટમાં મચ્છરોએ મુસાફરોના નાકમાં દમ લાવી દીધો હતો. મુસાફરોની ફરિયાદ બાદ ફ્લાઈટમાં સવાર કેબિન ક્રૂએ આ મચ્છરોને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો કોઈ પ્રયાસ સફળ થયો નહોતો. આખરે આ મચ્છરોએ પણ મુસાફરો સાથે મુંબઈથી અમદાવાદ સુધીની મુસાફરી કરી હતી.

મુસાફરોએ આ મચ્છરો અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો ત્યારે ઈન્ડિગોની સોશિયલ મીડિયા ટીમે આ મામલે જવાબ આપતા કહ્યું હતું કે “પ્રવાસીઓને થયેલી અસુવિધા બદલ અમને ખેદ છે. અમે અમારી ફ્લાઇટ્સને સ્વચ્છ અને જંતુમુક્ત રાખવા માટે સખત મહેનત કરીએ છીએ, પરંતુ જંતુઓ અથવા મચ્છરો સામે સંપૂર્ણપણે રક્ષણ કરવું શક્ય નથી. આશા છે કે તમે અમારી સમસ્યા સમજો છો.” જોકે, આ વીડિયો ક્યારનો છે એ તો જાણી શકાયું નહોતું, પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?