રામલલ્લાના ભક્તો માટે મોદી સરકારની પહેલ, હવે…..

નવી દિલ્હીઃ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો અહીં આવીને રામલલ્લાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. હવે રામનવમી આવી રહી છે. એ માટે રામલલ્લાના મંદિરમાં પર્વની જોરદાર તૈયારી કરવામાં આવી રહી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ અયોધ્યાના અર્થતંત્રમાં પણ ઉછાળો આવ્યો છે. રામ મંદિરનો પ્રસાદ, સરયુનું પાણી જેવી વસ્તુઓની પણ ખાસ માગ નોંધાઇ રહી છે. જે લોકો અયોધ્યા જઇને દર્શન કરી શકતા નથી, એ લોકો હવે ઓનલાઇન પ્રસાદ મંગાવે છે. શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને વધાવવા માટે હવે સરકારે 50 ગ્રામ રંગીન ચાંદીનો સિક્કાની મર્યાદિત આવૃતિ બહાર પાડી છે.
આ પણ વાંચો: Rama Navami પર રામલલ્લાને ‘સૂર્ય તિલક’, આ રીતે સૂર્ય કિરણો મંદિરમાં કરશે પ્રવેશ
જાહેર વેચાણ માટે બહાર પાડવામાં આવેલા આ રંગીન 999 ટચ શુદ્ધ ચાંદીના સિક્કાની કિંમત રૂ. 5,860 છે. આ સિક્કો તમે SPMCILI વેબસાઈટ પરથી ઓનલાઇન પણ ખરીદી શકો છો. આ સિક્કો રામલલ્લા અને રામ મંદિરના થીમ પર આધારિત છે. આ સિક્કાની એક બાજુ રામલલ્લાની સુંદર મૂર્તિ અને બીજી બાજુ અયોધ્યાના રામ મંદિરની તસવીર છે. ચાંદીના આ સિક્કાઓનો આકર્ષક વાઇબ્રન્ટ રંગ તેને અન્ય સિક્કાઓથી અલગ પાડે છે. તમે આ 50 ગ્રામ ચાંદીનો સિક્કો www.indiagovtmint.in પરથી ખરીદી શકો છો. તેની કિંમત 5,860 રૂપિયા છે. જો કે, વેબસાઈટ પર હાલમાં આ સિક્કાનો સ્ટોક ખતમ થઈ ગયો છે. આ સિક્કાને ખરીદીને તમારા ઘરમાં પૂજા સ્થાન પર રાખી શકાય છે. આ સિવાય તમારા નજીકના લોકોને ગિફ્ટ આપવા માટે પણ આ સિક્કો ખૂબ જ સારો વિકલ્પ બની શકે છે.
આ પણ વાંચો: Ramanavami Mela: રામ નવમી દરમિયાન રામલલ્લા મંદિર 24 કલાક ખૂલું રહેશે! જાણો સંતોનું શું કહેવું છે
પીએમ મોદીના નેતૃત્વમાં 22 જાન્યુઆરીએ અયોધ્યાના મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. વડા પ્રધાન મોદીએ આ પ્રસંગને નવા યુગના આગમનનું પ્રતીક ગણાવ્યું હતું. આ એક ઐતિહાસિક ક્ષણ હતી, જેના સાક્ષી બનવાની આપણને તક મળી હતી. અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલાની સ્થાપના થયાને થોડા જ દિવસો થયા છે અને લાખો ભક્તોએ રામલલ્લાના દર્શન કરી લીધા છે.