નેશનલ

આર્મી ઓફિસર્સ અને તેમના પરિવારોના અંગત જીવનમાં ડોકિયું કરશો નહીં: સંરક્ષણ મંત્રાલયની ચેતવણી…

નવી દિલ્હી: ‘ઓપરેશન સિંદૂર’ બાદ કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રાલયે સશસ્ત્ર દળોના વરિષ્ઠ કર્મચારીઓ અને તેમના પરિવારોની ગોપનીયતાનું સન્માન કરવા માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે.

શું કહ્યું મંત્રાલયે?
મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી આ માર્ગદર્શિકામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, “સેવારત કે નિવૃત્ત સશસ્ત્ર દળોના કર્મચારીઓના અંગત નિવાસસ્થાનો કે પરિવારોનો અંગત સ્ટોરી અથવા ઇન્ટરવ્યુ માટે સંપર્ક કરવાનો પ્રયાસ ટાળવો જોઈએ, જ્યાં સુધી ઓફિશિયલ ચેનલો દ્વારા સ્પષ્ટપણે આમંત્રિત કરવામાં ન આવે અથવા પરવાનગી ન મળે.”

વધુમાં, માર્ગદર્શિકામાં રહેઠાણના સરનામા, પરિવારના સભ્યોના ફોટોગ્રાફ્સ અથવા અન્ય બિન-ઓપરેશનલ માહિતી સહિતની અંગત વિગતો, જે જાહેર હિતમાં ન હોય, તેને પ્રકાશિત કે પ્રસારિત કરવાનું ટાળવા પણ કહેવામાં આવ્યું છે.

કવરેજે તમામ હદો વટાવી
મંત્રાલયે આ નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, ‘ઓપરેશન સિંદૂર’ જેવા ચાલી રહેલા ઓપરેશન્સના સંદર્ભમાં, સેનાના વરિષ્ઠ અધિકારીઓ તેમની નેતૃત્વકારી ભૂમિકાઓને કારણે લોકોની નજરમાં આવ્યા છે. મંત્રાલયના ધ્યાને આવ્યું છે કે આ અધિકારીઓને લગતી કવરેજ હદો વટાવીને અધિકારીઓ અને તેમના પરિવારોના ખાનગી જીવન સુધી પહોંચી ગઈ છે. આથી, આવી દખલને અટકાવવા અને સૈન્ય પરિવારોના અંગત જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવા આ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button