લશ્કરી કમાન્ડરનો ખુલાસો લદ્દાખ સરહદે સ્થિતિ સ્થિર છે પરંતુ સામાન્ય નથી….
![Military commander explains situation along Ladakh border is stable but not normal….](https://bombaysamachar.com/wp-content/uploads/2024/01/Dhiraj-2024-01-14T201508.303.jpg)
શ્રીનગર: સેનાના એક ટોચના કમાન્ડરે 14 જાન્યુઆરીના રોજ લદ્દાખ ક્ષેત્રમાં LACના સંદર્ભમાં આ ટિપ્પણી કરતા કહ્યું હતું કે ઉત્તરીય સરહદ પર સ્થિતિ સ્થિર છે પરંતુ સામાન્ય નથી. ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે મે 2020માં પૂર્વ લદ્દાખમાં સાત સ્ટેન્ડઓફ સ્થળોમાંથી પાંચ સ્થળો વિશેની બાબતો ભારતીય સેના અને પીપલ્સ લિબરેશન આર્મીની વાતચીત દ્વારા ઉકેલાઈ ગયા છે અને વાટાઘાટો ચાલી રહી છે. બાકીના બે સ્થાન માટે વાત ચાલુ છે.
તેમણે ખાસ એ બાબત જણાવી હતી કે ઉત્તરી સરહદ પર સ્થિતિ સ્થિર છે પરંતુ સામાન્ય નથી હાલમાં તેને સંવેદનશીલ સ્થિતિ કહી શકાય છે. પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા સૈન્ય કમાન્ડરે કહ્યું હતું કે પાડોશી દેશ પુંછ-રાજૌરી વિસ્તારમાં આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યો છે કારણ કે તેને આ વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કાર્યો પસંદ નથી. આપણા પાડોશી દેશને આ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ પસંદ નથી. એટલા માટે આ વિસ્તારમાં આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે પરંતુ અમે આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારા દિવસોમાં આતંકવાદી ગતિવિધિઓ પર અંકુશ લાવવામાં આવશે. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીએ એમ પણ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પોલીસ, સેના અને સ્થાનિક લોકો વચ્ચે વધુ સારા તાલમેલની જરૂર છે. જો કે એ સંદર્ભમાં હાલમાં આ વિસ્તારમાં પોલીસ સ્ટેશનોની સંખ્યા વધારવામાં આવી રહી છે. જેથી લોકો સાથે સીધો તાલમેલ કરી શકાય. જેથી કરીને આતંકવાદીઓને ખૂબજ ઝડપથી પકડી શકાય અને લોકો વચ્ચે રહેતા આતંકવાદીઓ ને સરળતાથી ઓળખી શકાય.