પહલગામ હુમલા વચ્ચે અમરેલીના ધારીમાંથી ‘ગેરકાયદે’ મૌલવી પકડાયો
ગેરકાયદે બાંગ્લાદેશી-પાકિસ્તાનીઓ વિરુદ્ધની કાર્યવાહી વખતે પગેરું મળ્યું

અમરેલીઃ ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશી, પાકિસ્તાનીઓ સામે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરામાંથી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ ઝડપાયા બાદ અમરેલીના ધારીમાં એક મદ્રેસામાંથી શંકાસ્પદ બાંગ્લાદેશી-પાકિસ્તાની ઝડપાયો હતો. અમરેલી એસઓજી ટીમે ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલા મદ્રેસામાં રહેતા મૌલાના મોહમદફઝલ અબ્દુલઅજીજ શેખની અટકાયત કરીને મૂળ રહેઠાણ અંગેના પુરાવા માંગ્યા હતા. જોકે તે પુરાવા રજૂ કરી શક્યો નહોતો. ગેરકાયદે બાંગ્લાદેશી-પાકિસ્તાની વિરુદ્ધની કાર્યવાહી વખતે તેનું પગેરું મળ્યું બાદ અમરેલી એસઓજીએ મૌલાનાની ધરપકડ કરી હતી. મૌલાનાના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપ મળ્યા હતા.
અમરેલી એસપી સંજય ખરાતે જણાવ્યું હતું કે મૌલાનાની શંકાસ્પદ પ્રવૃત્તિઓ લાગતાં એની અટકાયત કરીને પૂછપરછ કરતાં તેનું પાકિસ્તાની કનેક્શન હોવાનું લાગી રહ્યું છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. આ મૌલાના પાકિસ્તાની કનેક્શન ધરાવે છે કે કેમ એ તેની તપાસ બાદ સામે આવશે.
આપણ વાંચો: દલિત યુવકોને મળવા અલીગઢ જઈ રહેલા સપા સાંસદને નજરકેદ કરાયા, સાંસદ ધરણા બેસી ગયા
જેસલમેરમાંથી પણ ઝડપાયો હતો પાકિસ્તાની જાસૂસ
ગુરુવારે રાજસ્થાનના જેસલમેરમાં એક પાકિસ્તાની જાસૂસ ઝડપાયો હતો. સુરક્ષા એજન્સીએ શંકાસ્પદ જાસૂસને એક મહિના પહેલા પકડ્યો હતો, પરંતુ પૂછપરછમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી પઠાણ ખાન નામનો વ્યક્તિ જેસલમેર જિલ્લામાં મોહનગઢના નહેરી વિસ્તારનો રહેવાસી છે. પોલીસના કહેવા મુજબ, આરોપી પઠાણ ખાન લાંબા સમયથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના હેન્ડલર તરીકે કામ કરતો હતો અને ભારત-પાકિસ્તાન સરહદની સંવેદનશીલ જાણકારી એકત્ર કરતો હતો.