નેશનલ

ઉધમપુર હુમલાનો માસ્ટરમાઈન્ડ કરાચીમાં હણાયો

કરાચી: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં ૨૦૧૫માં બીએસએફ (સીમા સુરક્ષા દળ)ના કાફલા પર હુમલાનો માસ્ટરમાઈન્ડ લશ્કર-એ-તૈયબા (એલઇટી)ના આતંકવાદી હંઝલા અદનાનને પાકિસ્તાનના કરાચીમાં અજાણ્યા બંદૂકધારીઓએ ઠાર માર્યો હોવાના સમાચાર જાણવા મળ્યાં હતાં.

૨૬/૧૧ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ, એલઈટીના વડા હાફિઝ સઈદની નજીકના ગણાતા, હંઝલા અદનાનને ૨-૩ ડિસેમ્બરની મધ્યરાત્રિએ તેના ઘરની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. તેના શરીરમાં ચાર ગોળીઓ મળી આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેના દ્વારા એલઈટીના આતંકવાદીને ગુપ્ત રીતે કરાચીની એક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને પાંચ ડિસેમ્બરે તેનું મોત નીપજ્યું હતું. તાજેતરમાં, હંઝલા અદનાને તેનું ઓપરેશન બેઝ રાવલપિંડીથી કરાચી ખસેડ્યું હતું. ૨૦૧૫માં ઉધમપુરમાં બીએસએફના કાફલા પર થયેલા હુમલામાં બે
જવાન શહીદ થયા હતા અને ૧૩ અન્ય જવાન ઘાયલ થયા હતા.

એનઆઈએ બીએસએફના કાફલા પર થયેલા હુમલાની તપાસ કરી રહી હતી અને ચાર્જશીટ દાખલ કરી હતી.

અદનાને ૨૦૧૬માં જમ્મુ અને કાશ્મીરના પમ્પોર વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કાફલા પર આતંકવાદી હુમલાનું સંકલન કર્યું હતું. આ હુમલામાં આઠ જવાન શહીદ થયા હતા અને ૨૨ અન્ય ઘાયલ થયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર અદનાનને નવા ભરતી થયેલા આતંકવાદીઓને પ્રોત્સાહિત કરવા માટે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એલઈટીના કેમ્પમાં મોકલવામાં આવ્યો હતો.

ભારતમાં ઘૂસણખોરી કરવા અને આતંકવાદી હુમલાઓ કરવા માટે તેને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા, ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) અને પાકિસ્તાની સેનાનું સમર્થન હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…