નેશનલ

મમતા સીએએ અંગે મતદારોને ગેરમાર્ગે દોરે છે: અમિત શાહ

બાલુરઘાટ (પશ્ર્ચિમબંગાળ): કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર લોકોને સીએએ પર ગેરમાર્ગે દોરીને અને વોટ બૅન્કના રાજકારણ માટે ઘૂસણખોરીને મદદ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને ભારપૂર્વક કહ્યું હતું કે શરણાર્થીઓએ કોઈપણ આશંકા રાખ્યા વગર નાગરિકત્વ મેળવવા માટેની અરજી કરવી.

લોકસભાની ચૂંટણી માટે બંગાળની પહેલી રેલીને બાલુરઘાટમાં સંબોધતાં અમિત શાહે ટીએમસીની સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે ભૂપતીનગર બોમ્બ બ્લાસ્ટ કેસમાં કેટલાક દોષીઓને બચાવવા માટે એનઆઈએના અધિકારીઓ સામે ગુના નોંધવામાં આવ્યા હતા.


મમતા દીદી લોકોને સિટિઝન્સ અમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)ના મુદ્દે ગેરમાર્ગે દોરી રહી છે. તે કહી રહી છે કે જો અરજી કરશો તો તમે તમારી નાગરિકતા ગુમાવી દેશો. કેમ તેઓ શરણાર્થીઓને નાગરિકત્વ મળે તેના વિરોધમાં છે. આજે મારે તેમને કહેવું છે કે બધા જ શરણાર્થીઓએ કોઈપણ ડર વગર અરજી કરવી, બધાને નાગરિકતા આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.


તેમણે એમ પણ કહ્યું હતું કે આ દેશમાં તમારો પણ એટલો જ અધિકાર છે, જેટલો મારો અધિકાર છે. શરણાર્થીઓને નાગરિકતા આપવી અમારી પ્રતિબદ્ધતા છે.


સંદેશખાલીમાં મહિલાઓ સાથે ટીએમસીના નેતાઓ દ્વારા કરવામાં આવેલા અત્યાચારને મુદ્દે બોલતાં અમિત શાહે કહ્યું હતું કે મમતા બેરનજી મહિલા મુખ્ય પ્રધાન હોવા છતાં દોષીઓને બચાવવાના પ્રયાસ કરી રહી છે તે અત્યંત શરમજનક બાબત છે.


સંદેશખાલીના મુદ્દે તમે રાજકારણ કરી રહ્યા છો? વર્ષોથી તમારા નાક નીચે અત્યાચારો ચાલી રહ્યા હતા ઈડીના અધિકારીઓ જ્યારે ટીએમસીના ગુંડાની ધરપકડ કરવા ગયા ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો. તુષ્ટીકરણના માધ્યમથી થોડા મત મેળવવા માટે સંદેશખાલીમાં ગુનેગારોને બચાવી રહ્યા છો, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button