દિલ્હીમાં ભીષણ આગ: બાળકોએ જીવ બચાવવા છલાંગ લગાવી, એક જ પરિવારના 3ના મોત

દિલ્હી: આજે મંગળવારે સવારે દિલ્હીના દ્વારકા વિસ્તારમાં બહુમાળી ઇમારતના સાતમાં માળે વિકરાળ આગ ફાટી નીકળી (Fire in Dwarka area in Delhi) હતી. ઘટનાસ્થળે પાંચ ફાયર ટેન્ડરો પહોંચી ગયા છે. ફાયર વિભાગે લોકોને બચાવવા માટે સ્કાય લિફ્ટ પણ તૈનાત કરી હતી. આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હોવાના અહેવાલ છે.
અહેવાલ મુજબ આજે મંગળવારે સવારે 10 વાગ્યાના અરસામાં દ્વારકા સેક્ટર-13માં શપથ સોસાયટીમાં આવેલી એક બિલ્ડીંગમાં આગ લાગી હતી. શપથ સોસાયટી ખાલી કરાવી દેવામાં આવી છે, તમામ રહેવાસીઓને બાહર કાઢવામાં આવ્યા છે. કોઈ અકસ્માત ટાળવા માટે હાલ પૂરતું વીજળી અને ગેસ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યું છે.
આ વિકરાળ આગના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં ઉપરના અપાર્ટમેન્ટમાંથી આગ જ્વાળાઓ અને કાળો ધુમાડો નીકળતો દેખાઈ રહ્યો છે.
એક જ પરિવારના ત્રણ લોકોના મોત:
આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. અહેવાલ મુજબ કૂદી પડવાને કારણે, તેમના મોત થયા છે. 10 વર્ષની ઉંમરના એક છોકરો અને એક છોકરી, પોતાને બચાવવા માટે બાલ્કનીમાંથી કૂદી પડ્યા હતાં. બંને બાળકોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં, જ્યાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. બાળકોના 35 વર્ષના પિતા યશ યાદવ પણ બાલ્કનીમાંથી કૂદી પડ્યા હતાં અને તેમને IGI હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા.
આ પણ વાંચો - કેરળના દરિયાકાંઠે સિંગાપોરના કન્ટેનર શીપમાં આગ લાગી; બચાવ કામગીરી શરૂ કરી…
પ્રાથમિક માહિતી મુજબ યશ યાદવ યાદવ ફ્લેક્સ બોર્ડના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમની પત્ની અને મોટો દીકરો આગમાં બચી ગયા હતા અને તેમને સારવાર માટે IGI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.