નેશનલ

લખનઉ એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના, પ્લેનમાંથી ધુમાડો નીકળતા 250 પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા

લખનઉઃ લખનઉ એરપોર્ટ પર સોમવારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. સાઉદી અરેબિયા એરલાઈન્સની ફ્લાઇટ નંબર એસવી-3112ના લખનઉ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી આવવાથી આગ અને ધુમાડો નીકળવા લાગ્યો હતો. પાયલટની સૂઝબુઝ અને એરપોર્ટ કર્મચારીઓની સતર્કતાથી તમામ મુસાફરોને વિમાનમાંથી સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે 20 મિનિટમાં જ સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. આ ફ્લાઈટમાં 250 હજ મુસાફરો સવાર હતા.

હજ યાત્રીઓને લઈ જતી સાઉદી એરલાઈન્સના વિમાનના લખનઉ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વિમાનના વ્હીલમાંથી આગ અને ધુમાડો નીકળ્યો હતો. જે બાદ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ વિમાન સાઉદીના જેદ્દાથી હજ યાત્રીઓને લઈ લખનઉ આવ્યું હતું.

આગની ખબર પડતાં પાયલટે એર ટ્રાફિક કંટ્રોલરને તાત્કાલિક જાણ કરી હતી. જે બાદ ફાયર ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. આ પછી તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સહી સલામત બહાર આવ્યા બાદ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રારંભિક તપાસમાં હાઈડ્રોલિક સિસ્ટમમાં ખરાબી હોવાનું સામે આવ્યું હતું. નિષ્ણાતોએ કહ્યું કે, લેન્ડિંગ દરમિયાન આ ગરબડ સામાન્ય હતી. પરંતુ ટેકઓફ દરમિયાન થયું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

આ પણ વાંચો -‏‏‎ વિજય રૂપાણીને રાજકોટમાં ગાર્ડ ઑફ ઓનર: અમિત શાહ, CM પટેલ સહિત દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ અર્પી

ઉલ્લેખનીય છે કે 12 જૂને અમદાવાદમાં ઈન્ડિયાની લંડન જતી એઆઈ 171 નંબરની ફ્લાઈટ મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડી હતી. આ વિમાનમાં પાયલટ, ક્રૂ મેમ્બર્સ સહિત 242 મુસાફરો હતો. જેમાંથી 241નાં મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button