મહાકુંભ 2025

મહાકુંભ જઈ રહેલા શ્રદ્ધાળુઓને CM યોગીએ કરી અપીલ; કહ્યું “તે દરેક સહિયારી જવાબદારી….

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પ્રયાગરાજ મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને ટ્રાફિક અને સ્વચ્છતા વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે મહાકુંભ એ શ્રદ્ધાનું મહાપર્વ છે, જેમાં દેશ અને વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે ઉત્સાહિત હોય છે. આવી સ્થિતિમાં, સહકાર આપવો આપણી સામૂહિક જવાબદારી છે.

આ પણ વાંચો: મહાકુંભમાં વીઆઇપીઓનો પણ રેકોર્ડ બ્રેકઃ અધિકારીઓ વ્યવસ્થાના ભારથી લદાયા…

વાહનોના પાર્ક અંગે

મુખ્યપ્રધાને ભક્તોને વિનંતી કરી છે કે તેઓ રસ્તાઓ પર વાહનો પાર્ક ન કરે અને નિયુક્ત પાર્કિંગ જગ્યાઓનો ઉપયોગ કરે, જેથી ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત રહે અને દરેકને ત્રિવેણીમાં ધાર્મિક ડૂબકી લગાવવાની પણ સરળ તક મળે. તેમણે કહ્યું કે મહાકુંભ એક અદ્ભુત અવસર છે, જેમાં સમગ્ર દુનિયાની શ્રદ્ધા એક થાય છે. દરેક વ્યક્તિનો સકારાત્મક સહયોગ આ કાર્યક્રમની સફળતાને અનેક ગણી વધારી શકે છે.

‘મહાકુંભની સ્વચ્છતા’ દરેકની સામૂહિક જવાબદારી

મુખ્ય પ્રધાન યોગીએ સંતો, આશ્રમો અને વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનોને ભંડારા અને પ્રસાદ વિતરણની પવિત્ર વ્યવસ્થા અવિરત ચાલુ રાખવા અપીલ કરી, જેથી તમામ ભક્તો તેનો લાભ લઈ શકે. મહાકુંભમાં સ્વચ્છતા જાળવવાના મહત્વ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે તે દરેક વ્યક્તિની જવાબદારી છે. મુખ્ય પ્રધાને ભક્તોને પોતે સ્વચ્છતાનું પાલન કરવા અને અન્ય લોકોને પણ આવું કરવા પ્રેરણા આપવા હાકલ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button