‘મહાકુંભ’ પૂરો થયા પછી સંગમ ખાતે હજુ પણ શ્રદ્ધાળુઓની ડૂબકી લગાવવાનું ચાલુ

મહાકુંભ નગરઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ૨૦૨૫નું બુધવારે જ સમાપન થઇ ગયું હતું, તેમ છતાં હજુ પણ સંગમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. જેમાંથી ઘણા લોકો એવા છે જેઓ ૪૫ દિવસ સુધી ચાલેલા આધ્યાત્મિક મેળાવડા દરમિયાન ડૂબકી લગાવવાનું ચૂકી ગયા હતા.
જો કે ટ્રાફિક પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા હોવાથી મેળાના ઘાટની નજીકના મેદાન હવે વિવિધ રાજ્યોમાંથી આવતા કાર અને અન્ય વાહનોના મિલન સ્થળ બની રહ્યા છે. કારણ કે ઘણા લોકો સીધા ઘાટ પર પહોંચી રહ્યા છે. જો કે કોઇ સત્તાવાર આંકડો ઉપલ્બ્ધ નથી, પરંતુ આજે સવારથી જ હજારો લોકો ત્રિવેણી સંગમ પર ઉમટી પડ્યા છે અને સવાર સુધી સ્નાન વિધિ કરી રહ્યા છે.
સવારે પાંચ વાગ્યા સુધીમાં ઘાટો પરના લોકોની ઉર્જા અને ઉત્સાહ હજુ પણ યથાવત હતા. જેમાંથી કેટલાક બિહાર, મહારાષ્ટ્ર, તામિલનાડુ ઉપરાંત પ્રયાગરાજના ઘણા સ્થાનિક નિવાસીઓ પણ હતા.
મહાકુંભ મેળામાં હાજરી ન આપી શક્યા હોય તેવા ઘણા યાત્રાળુઓનો સંગમમાં પવિત્ર ડૂબકી મારતા પહેલા અને પછીનો ઉત્સાહ મેળા દરમિયાન સ્નાન કરનારાઓ જેવો જ જોવા મળી રહ્યો છે. તેમાંથી મોટા ભાગના લોકો સંગમ બિંદુના છેડે આવેલા સંગમ નોઝ પર ઉમટી રહ્યા છે, જ્યારે તેની નજીકના ઘાટ પણ યાત્રાળુઓથી ભરેલા છે.
આ પણ વાંચો: Video: મહાકુંભના સમાપન બાદ પણ સંગમ તટ પર શ્રદ્ધાળુઓની ભીડ
તેમાંના એક ચેન્નઇના મૂળ વતની આશિષ કુમાર સિંહ છે. તેઓ તામિલનાડુની રાજધાનીથી આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેઓ ગુરૂવારે રાત્રે ૧૧-૩૦ વાગ્યાની આસપાસ પવિત્ર સ્નાન કરવા માટે સંગમ સ્થળ નજીક પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, હું રાત્રે લગભગ ૧૧-૪૫ વાગ્યે સ્નાન કરવાનું વિચારી રહ્યો હતો, પરંતુ તે જ સમયે આગની ઘટના ઘટી તેથી હું નંદી દ્વાર પાર કરતી વખતે ફાયર એન્જિનોની પાછળ ચાલ્યો ગયો. આખરે હું લગભગ ૩ વાગ્યે સ્નાન કરી શક્યો હતો. તે એક અદ્દભુત અનુભવ હતો.