ભગવદ્ ગીતા ધાર્મિક ગ્રંથ નહીં હોવાનો હાઈ કોર્ટનો ચુકાદો, અમિત શાહના મંત્રાલયની કેમ કાઢી ઝાટકણી ?

નવી દિલ્હીઃ મદ્રાસ હાઈ કોર્ટે ભગવદ્ ગીતાને લઈ મોટો ચુકાદો આપ્યો હતો. તેમજ અમિત શાહના ગૃહ મંત્રાલયની ઝાટકણી કાઢી હતી. મદ્રાસ હાઈ કોર્ટના ન્યાયધીશ જી આર સ્વામીનાથને કહ્યું, ભગવદ્ ગીતા ધાર્મિક ગ્રંથ નથી, તે એક મોરલ સાયન્સ સમાન છે. કોર્ટે કહ્યું- ગીતા અને યોગનું શિક્ષણ આપવામાં સામેલ થવાના આધારે કોઈપણ ટ્રસ્ટને એફસીઆરએ અંતર્ગત રજિસ્ટ્રેશનથી વંચિત રાખી શકાય નહીં. કોર્ટે અર્થા વિદ્યા પરંપરા ટ્રસ્ટને એફસીઆરએ રજિસ્ટ્રેશન આપવાની ના પાડીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્ણયને અપર્યાપ્ત તર્ક અને પ્રક્રિયાત્મ ખામીના આધારે રદ્દ કર્યો હતો.
રિપોર્ટ પ્રમાણે, 2017માં સ્થપાયેલું આ ટ્રસ્ટ વેદ, સંસ્કૃત અને યોગનું શિક્ષણ આપે છે. તેમજ પ્રાચીન લિપિઓના સંરક્ષણ માટે કાર્ય કરે છે. ટ્રસ્ટે 2021માં એફસીઆરએ રજીસ્ટ્રેશન માટે અરજી કરી હતી. પરંતુ ઘણા મહિનાઓ સુધી આગળની કાર્યવાહી થઈ નહોતી. ગૃહ મંત્રાલયે 2024 અને 2025માં આ સ્પષ્ટીકરણ માંગ્યું હતું અને જાન્યુઆરી 2025માં નવેસરથી કરવામાં આવેલી અરજી સપ્ટેમ્બર 2025માં ફગાવી દીધી હતી. જે બાદ ટ્રસ્ટે આ નિર્ણયને પડકારતાં હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
મંત્રાલય દ્વારા અરજી ફગાવવાનું મુખ્ય કારણ ટ્રસ્ટ ધાર્મિક હોવાનું જણાવ્યું હતું. ન્યાયાધીશ જી.આર. સ્વામીનાથને કહ્યું કે – ભગવદ્ ગીતા કોઈ ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે એક મોરલ સાયન્સ છે… તેથી ભગવદ્ ગીતાને કોઈ એક ધર્મ સુધી મર્યાદિત ન રાખી શકાય. તે ભારતીય સભ્યતાનો એક અભિન્ન ભાગ છે.
મંત્રાલયે દલીલ કરી હતી કે ભગવદ્ ગીતા, ઉપનિષદ, વેદાંત અને સંસ્કૃતના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે ટ્રસ્ટ એક ધાર્મિક સંગઠન છે. જોકે, કોર્ટે તારણ કાઢ્યું હતું કે આ દલીલ FCRAની કલમ 11ની જરૂરિયાતોને પૂર્ણ કરતી નથી. આ જોગવાઈ સાંસ્કૃતિક, શૈક્ષણિક, ધાર્મિક કે સામાજિક ઉદ્દેશ્યો ધરાવતા જૂથોને વિદેશી ફંડ મેળવવાની મંજૂરી આપે છે.
આપણ વાંચો: ભાજપનાં મહિલા નેતાની વિદેશી કોચને ધમકીઃ મહિનામાં હિંદી નહીં શીખો તો પાર્ક છિનવીને કાઢી મૂકીશ…



