
બિહારના ભોજપુર જિલ્લામાંથી પતિ-પત્નીના સંબંધોને કલંક લગાડતો કિસ્સો જાણવા મળ્યો છે. અહીંની એક નવપરિણીત મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી નાખી. ત્યારબાદ તેના મૃતદેહને ઘરના આંગણામાં દાટી દીધો હતો. આટલું જ નહીં, પુરાવા છુપાવવા માટે અને આ ઘટના વિશે કોઈને ખબર ન પડે તે માટે તેણે આંગણામાં રોપા પણ વાવી દીધા હતા.આ સમગ્ર કેસમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે મૃતક યુવકે આરોપી નેહા સાથે 6 મહિના પહેલા જ લવ મેરેજ કર્યા હતા. કોઈક રીતે પોલીસને આ વાતની જાણ થઈ. જે બાદ પોલીસે મૃતકના પરિવારજનોને ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે સ્થળ પર જઈને ખોદકામ કરાવ્યું હતું. જે બાદ મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. પોલીસ આરોપી મહિલાની પૂછપરછ કરી રહી છે.
મૃતકની ઓળખ 26 વર્ષીય મિથુન ગીરી તરીકે થઈ છે. તે ગુરુગ્રામમાં ટ્રક ડ્રાઇવરનું કામ કરતો હતો. તેણે ઇટામહાગામની રહેવાસી નેહા દેવી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. મૃતકના પિતા કમલેશ ગિરીએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર બે મહિના પહેલા ગુરુગ્રામથી ગામમાં આવ્યો હતો. તે ચાર દિવસ પહેલા તેની પત્નીને લેવા તેના સાસરે ગયો હતો. અમે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો ફોન ઉપલબ્ધ ન હતો. જે બાદ સાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેની સાથે વાત થઈ ન હતી. બાદમાં પુત્રની હત્યા પુત્રવધૂએ કરી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતદેહને જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો. આ ઘટનામાં નેહાના પ્રેમીનો પણ હાથ છે.
આ કેસ અંગે સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે મૃતકની પત્નીને કસ્ટડીમાં લેવામાં આવી છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેનો મિથુન સાથે ઝઘડો થયો હતો, પરંતુ બાદમાં તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ તેણે ગામના બબલુ પાસવાનને ફોન કર્યો હતો અને તેની મદદથી મિથુનના મૃતદેહને જમીનમાં દાટી દીધો હતો. જેથી કોઈને કંઈ ખબર ન પડે. પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં જે લોકો સંડોવાયેલા જણાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે