શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ લોકસભામાં હંગામો: પહેલા દિવસે શું થયું ગૃહમાં?

નવી દિલ્હી: આજથી સંસદના શિયાળા સત્રની શરૂઆત થઈ રહી છે. સત્રના પહેલા જ દિવસે લોકસભાને એક વખત સ્થગિત કરી દીધા બાદ પુનઃ શરૂ કરતાની એક મિનિટની અંદર જ સ્થગિત કરી દેવામાં આવી છે. આ દરમિયાન પ્રશ્નકાળ સહિતની કોઇ જ કામગીરી થઈ શકી નહિ. આ દરમિયાન લોકસભા અધ્યક્ષે વર્તમાન લોકસભાનાં સભ્ય વસંત રાવ ચવ્હાણ અને નૂરલ ઇસ્લામ તથા પૂર્વ સદસ્યોના નિધનની ગૃહને જાણ કરી હતી અને ગૃહમાં મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પણ વાંચો : ભારતીય કોસ્ટને મળી મોટી સફળતા, આંદામાન નજીક બોટમાંથી પાંચ ટન Drugs જપ્ત
કયા મુદ્દા ગાજ્યાં?
ત્યારબાદ વિપક્ષે અદાણીનો મુદ્દો અને સંભલ હિંસાના મુદ્દાને લઈને હોબાળો મચાવ્યો હતો અને આથી અધ્યક્ષે 11:05 કલાકે ગૃહની કાર્યવાહીને 12 વાગ્યા સુધી કાર્યવાહીને સ્થગિત કરી દીધી હતી. ગૃહમાં જ્યારે વડાપ્રધાનનું આગમન થયું ત્યારે સત્તા પક્ષ અને કેન્દ્રીય મંત્રીઓ પોતાના સ્થાન પરથી ઊભા થઈ ગયા હતા અને મોદી મોદીના નારા લગાવ્યા હતા.
કાર્યવાહી શરૂ થતાં જ ફરી બંધ
સંસદની કાર્યવાહીને 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી અને 12 વાગ્યા બાદ ગૃહની કાર્યવાહી ફરી શરૂ થતાં જ સમાજવાદી પાર્ટી (સપા)નાં સાંસદ ધર્મેન્દ્ર યાદવ અને અન્ય પાર્ટીના સાંસદ સભ્યોએ સંભલ હિંસાનો મુદ્દો ઉઠાવતા જોવા મળ્યા હતા, જેમાં અખિલેશ યાદવ પણ સપોર્ટમાં જોવા મળ્યા હતા. અન્ય વિરોધ પક્ષના નેતાઓએ પણ આ મુદ્દો ઉઠાવી રહ્યા હતા.
આ પણ વાંચો : Parliament Winter Session: પીએમ મોદીએ સંસદના સત્ર પૂર્વે કર્યો રાહુલ ગાંધી પર આ મોટો પ્રહાર
બંધારણ દિવસના જ કાર્યવાહી બંધ
અધ્યક્ષા સંધ્યા રાયે હંગામો મચાવતા વિપક્ષી સભ્યોને ગૃહની કાર્યવાહી ચાલુ રહેવા દેવા વિનંતી કરી. તેમ છતાં હોબાળો ચાલુ રહેતા તેમણે એક મિનિટમાં ગૃહની બેઠક દિવસભર માટે સ્થગિત કરી દીધી હતી. જો કે હવે 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસના અવસર પર જ મંગળવારે લોકસભાની કોઈ બેઠક નહીં થાય. લોકસભાની કાર્યવાહી હવે બુધવારે ફરી શરૂ થશે.