
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) ના છઠ્ઠા તબક્કા માટે છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 58 લોકસભા બેઠકો પર મતદાન(Voting) થઈ રહ્યું છે. જેમાં દિલ્હીની 7, ઉત્તર પ્રદેશની 14 બેઠકો, હરિયાણાની તમામ 10 બેઠકો, બિહાર અને પશ્ચિમ બંગાળની આઠ-આઠ, ઓડિશાની છ, ઝારખંડની ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે.
મતદાન પહેલા ગઈ કાલે રાત્રે પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં TMC કાર્યકરની હત્યા કરવામાં આવી હોવાના અહેવાલ છે. TMCએ આ હત્યા અંગે ભાજપ પર આરોપ લગાવ્યો છે. હત્યાને કારણે વિસ્તારમાં સ્થિતિ તંગ છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાર્યકર્તાના શરીર પર લોખંડના સળિયાથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો.
આ દરમિયાન દિલ્હી સરકારના પ્રધાન આતિશીએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અને દિલ્હી પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આતિશીએ કહ્યું કે અમને સત્તાવાર માહિતી મળી છે કે ગઈકાલે સાંજે LGએ દિલ્હી પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી હતી અને દિલ્હી પોલીસને INDIA ગઠબંધનનો ગઢ છે, તે તમામ વિસ્તારોમાં કાર્યવાહી કરી મતદાનની ગતિ ધીમી થાય એવી સૂચના આપી છે. જો આમ થશે તો તે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીનું ઉલ્લંઘન હશે. તેથી, અમે આશા રાખીએ છીએ કે ચૂંટણી પંચ આ અંગે સંજ્ઞાન લેશે.
કાશ્મીરના PDPના નેતા મહેબૂબા મુફ્તીએ આરોપ લગાવ્યો છે કે રાજૌરી-અનંતનાગ સીટ પર વોટિંગમાં ગેરરીતિ થઈ રહી છે. 1987ની ગેરરીતિઓનું પુનરાવર્તન કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમના મતે મતદારોના ઘરને તાળા મારી દેવામાં આવ્યા છે, કોઈ મતદાન કરવા સક્ષમ નથી. પૂર્વ સીએમએ બેફામપણે કહ્યું કે જો તેમને આટલો ડર હોત તો હું ચૂંટણી ન લડત.