નેશનલ

‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારતની મોટી તૈયારી: દુશ્મનો પર નજર રાખવા બાવન સેટેલાઇટ લોન્ચ કરશે!

નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર બાદ ભારત એક મોટી તૈયારીઓમાં લાગી ગયું છે. હવે સરહદ પારમાં આતંકવાદને નાથવા માટે ભારત એક કે બે નહિ પણ ૫૨ ઉપગ્રહ લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ ઉપગ્રહ માત્ર સેના માટે જ કામ કરશે અને તેનાથી દુશ્મન દેશના ખૂણે ખૂણા પર નજર રાખી શકાશે.

આ ઉપરાંત, સેના માટે એક વિશેષ ‘સ્પેસ ડોક્ટ્રિન’ને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. નોંધનીય છે કે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતે સેટેલાઇટ સિસ્ટમના દમ પર પાકિસ્તાનના વિવિધ સૈન્ય ઠેકાણાઓની સફળતાપૂર્વક દેખરેખ રાખી હતી, જેનાથી સેનાને સચોટ લક્ષ્ય નિર્ધારિત કરવામાં મદદ મળી હતી.

આ પણ વાંચો: પાકિસ્તાનની ‘નાપાક’ મુરાદ: ‘ઓપરેશન સિંદૂર’માં તબાહ થયેલા લોન્ચ પેડ્સ ફરી કરી રહ્યું છે નિર્માણ

ઈસરો 21, બાકી 31 સેટેલાઈટ ખાનગી કંપની લોન્ચ કરાશે

ભારત દ્વારા આ સેટેલાઇટ લોન્ચ ‘સ્પેસ બેઝ્ડ સર્વેલન્સ પ્રોગ્રામ’ના ત્રીજા તબક્કાનો એક ભાગ છે. આ પ્રોગ્રામને ગયા વર્ષે ઓક્ટોબરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સુરક્ષા કેબિનેટ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹ 26,968 કરોડ છે. આ અંતર્ગત, ઈસરો (ISRO) દ્વારા 21 સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે, જ્યારે બાકીના 31 સેટેલાઇટ ખાનગી કંપનીઓ દ્વારા લોન્ચ કરવામાં આવશે. પ્રથમ બે સેટેલાઇટ આવતા વર્ષે એપ્રિલમાં લોન્ચ કરવામાં આવશે, અને 2029ના અંત સુધીમાં તમામ 52 સેટેલાઇટ તૈનાત કરી દેવામાં આવશે.

‘ડિફેન્સ સ્પેસ એજન્સી’નો એક ભાગ

આ પ્રોજેક્ટ રક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત ‘ડિફેન્સ સ્પેસ એજન્સી’ નો એક ભાગ છે. મીડિયાના સૂત્રો અનુસાર, આ સેટેલાઇટ્સના લોન્ચિંગ માટે સમયમર્યાદા જાળવી રાખવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં, ત્રણ ખાનગી કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યા છે અને તેમને તેમનું કાર્ય અત્યંત ઝડપથી પૂર્ણ કરવા માટે જણાવાયું છે.

પાકિસ્તાનના વધુમાં વધુ વિસ્તારોની દેખરેખ રાખવાનો

‘SBS-3’નો મુખ્ય ઉદ્દેશ્ય ચીન અને પાકિસ્તાનના વધુમાં વધુ વિસ્તારોની દેખરેખ રાખવાનો છે. આ ઉપરાંત, હિંદ મહાસાગર ક્ષેત્ર પર પણ સતત નજર રાખવામાં આવશે. ‘સ્પેસ ડોક્ટ્રિન’ને લઈને પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે.

આ સાથે, ભારતીય વાયુસેના પણ ત્રણ ‘હાઈ અલ્ટીટ્યુડ પ્લેટફોર્મ સિસ્ટમ એરક્રાફ્ટ’ (High Altitude Platform System Aircraft) તૈયાર કરી રહી છે. આ ડ્રોન માનવરહિત હશે અને સેટેલાઇટ આધારિત કાર્ય કરશે. આ વિકાસ ભારતની સંરક્ષણ ક્ષમતાઓને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને પ્રાદેશિક સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button