ટિકિટ કૌભાંડ: વેઈટરના ખાતામાંથી મળ્યા લાખો રુપિયા, રેલ કર્મીઓની સંડોવણીની શંકા!

મુંબઈઃ મધ્ય રેલવેમાં VVIP ક્વોટામાંથી નકલી સહીઓ અને લેટરહેડ દ્વારા ટિકિટ કન્ફર્મ કરવાના કેસમાં એક નવો ખુલાસો થયો છે. આ કેસની તપાસ કરી રહેલી રેલવે પોલીસને આરોપી ચાવાળો ઉર્ફે રવિન્દ્ર સાહુના બેંક ખાતામાંથી 4 લાખ રૂપિયા મળી આવ્યા છે. તેણે રેલવેના વરિષ્ઠ અધિકારીઓના નકલી લેટરહેડ અને સ્ટેમ્પનો ઉપયોગ કરીને ટિકિટ બુકિંગ દ્વારા આ રકમ ભેગી કરી હતી.
અહેવાલ મુજબ સાહુએ આ ખાતું એક ખાનગી બેંકમાં ખોલાવ્યું હતું. હાલમાં, GRP એ તેનું બેંક ખાતું ફ્રીઝ કરી દીધું છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ રકમ કયા ખાતામાંથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે આરોપી રેલવે કેન્ટીનમાં નજીવા પગારે વેઈટર તરીકે કામ કરતો હતો, પરંતુ પૈસાના લોભને કારણે તેણે આ ગેરકાયદે રસ્તો અપનાવ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું છે કે રવિન્દ્ર સાહુને ઇમરજન્સી ક્વોટા વિભાગના કેટલાક કર્મચારીઓનો ટેકો હતો. સૂત્રોએ દાવો કર્યો છે કે GRP આ સંભવિત મિલીભગતની તપાસ કરી રહી છે. મધ્ય રેલવેએ પણ તેની આંતરિક તપાસ શરૂ કરી છે જેથી સ્પષ્ટ થઈ શકે કે ટિકિટ કન્ફર્મેશનની આ છેતરપિંડી કેવી રીતે થઈ રહી હતી અને તેમાં કયા કર્મચારીઓ સામેલ હતા.
આ કેસમાં GRP એ સ્લીપર ટિકિટ વિભાગના વડાનું પણ નિવેદન નોંધ્યું છે. આ સાથે, જે વરિષ્ઠ અધિકારીઓના નકલી લેટરહેડ અને સહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો - આ કરવાથી તમે ફાસ્ટેગમાં 7 હજાર રૂપિયા બચાવી શકશો
રેલવે સૂત્રોનું માનવું છે કે આગામી દિવસોમાં આ છેતરપિંડીમાં ઘણા મોટા ખુલાસા થઈ શકે છે. આ મામલો ફક્ત એક વેઈટર પૂરતો મર્યાદિત નથી લાગતો, પરંતુ તેમાં ઊંડે સુધી ફેલાયેલા કોઈ નેટવર્કની સંડોવણી હોવાની શક્યતા છે.