
કોલકાતા: આર જી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા કેસની સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. આજે સુનાવણી દરમિયાન બંગાળ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને મુખ્ય ન્યાયધીશ ડી વાય ચંદ્રચુડે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. CBI તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ બંગાળ સરકાર પર અનેક આરોપો લગાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ડોકટરોની સુરક્ષાને સરકાર દ્વારા પ્રાથમિકતા આપવામાં આવે. પશ્ચિમ બંગાળ સરકારે ડોકટરોના મનમાં વિશ્વાસ જગાડવા માટે પગલાં લેવા જોઈએ. તેમની સુરક્ષાની ચિંતાઓને યોગ્ય રીતે સંબોધવામાં આવે. પોલીસે ખાતરી કરવી જોઈએ કે તમામ ડોકટરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે જરૂરી પરિસ્થિતિઓ બનાવવામાં આવે. આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં ડૉક્ટરોએ કામ પર પાછા ફરવું જોઈએ. જો તમે પાછા ન ફરો, તો બીજા કોઈને દોષ ન આપો.
પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે બેંચ સમક્ષ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તૈયાર કરાયેલો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમણે બેંચને કહ્યું, ‘એક સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગે રિપોર્ટ સોંપ્યો છે. ડૉક્ટરો હડતાળ પર છે, જેના કારણે 23 લોકોના મોત થયા છે.
એસજી તુષાર મહેતાએ કોર્ટમાં કહ્યું કે કપિલ સિબ્બલ દ્વારા દાખલ કરાયેલ સ્ટેટસ રિપોર્ટ અમને મળ્યો નથી. પશ્ચિમ બંગાળ સરકાર સીબીઆઈથી શું છુપાવવા માંગે છે? પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા જવાબની નકલ પણ અમને મળી નથી.
આ કેસમાં અરજદારે પોલીસની પ્રારંભિક તપાસ પર સવાલો ઉઠાવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં ક્યારેય રાત્રે પોસ્ટમોર્ટમ કરવામાં આવતું નથી. એટલું જ નહીં, એફઆઈઆર નોંધતા પહેલા સીઝર અને સર્ચ કરવામાં આવતું નથી, પરંતુ આ કેસમાં આવું કરવામાં આવ્યું. તેના પર કપિલ સિબ્બલે કહ્યું, ‘પોસ્ટમોર્ટમ સમયે મહિલા ડૉક્ટર ત્યાં હાજર હતાં.’
CJIએ સિબ્બલને પૂછ્યું કે અમને બે પાસાઓ પર સ્પષ્ટતાની જરૂર છે. અકુદરતી મૃત્યુના કિસ્સામાં અમને સ્પષ્ટતાની જરૂર છે. તેના જવાબમાં સિબ્બલે કહ્યું, ‘મૃત્યુનું પ્રમાણપત્ર બપોરે 1.47 વાગ્યે બનાવવામાં આવ્યું હતું. આ પછી, અકુદરતી મૃત્યુના કેસમાં પોલીસ સ્ટેશનમાં બપોરે 2.55 વાગ્યે એક ડાયરી નોંધવામાં આવી હતી. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ 4.10 વાગ્યે આવ્યા હતા. 4.40 સુધીમાં તપાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. સમગ્ર તપાસની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી.’
આ પછી સીજેઆઈએ પૂછ્યું કે શું સીસીટીવી ફૂટેજ છે જે બતાવવા માટે કે આરોપી કયા સમયે સેમિનાર રૂમમાં પ્રવેશ્યો અને બહાર આવ્યો. સીઝર અને સર્ચ ક્યારે થઈ? સિબ્બલે કહ્યું કે સાંજે 8.30 વાગ્યે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવતા પ્રક્રિયા શરૂ થઈ હતી. તે પહેલા ત્યાં ફોટોગ્રાફીનું કામ પૂર્ણ થઈ ગયું હતું. CCTV ફૂટેજ CBIને આપવામાં આવ્યા છે.
એસજી તુષાર મહેતાએ કેસની સુનાવણી દરમિયાન આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકાર CISFને સહકાર આપી રહી નથી. આ અંગે પશ્ચિમ બંગાળ સરકારના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, ‘અમે CISFને સંપૂર્ણ સુવિધાઓ પૂરી પાડી છે.’ સિબ્બલે માહિતી આપી કે કઈ શાળાઓ અને સરકારી ફ્લેટમાં સૈનિકો અને અધિકારીઓને રાખવામાં આવ્યા છે.
સોલિસિટર જનરલે આરોપ લગાવ્યો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સમયનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. તેના પર સિબ્બલે કહ્યું, ‘બધું હાજર છે, આ બધું કેમ પુછવામાં આવી રહ્યું છે?’
સોલિસિટર જનરલે કહ્યું કે વીડિયોગ્રાફી કોણે કરી તેની કોઈ વિગતો નથી! હાજર તમામ ડોકટરો ઉત્તર બંગાળ લોબીના હતા! આના પર કપિલ સિબ્બલે દલીલ કરી કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ત્યાં હતા. આના પર એસજીએ કહ્યું કે એ અપ્રસ્તુત છે, તેઓ બપોરે 2:30 થી 10:30 વાગ્યા સુધી ત્યાં કેવી રીતે રહી શકે?
કપિલ સિબ્બલે કોર્ટને કહ્યું કે રાજ્યમાં દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. 41 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસની પરવાનગી વિના પ્રદર્શનો થઈ રહ્યા છે. ડૉક્ટરો હડતાળ પર છે, તેથી 23 લોકોના મોત થયા છે.