
નવી દિલ્હી: કોલકાતા આર.જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા રેસીડેન્ટ ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા(Kolkata rape and murder case)ના કેસ અંગે સુપ્રીમ કોર્ટ(Supreme court) સુનાવણી કરી રહી છે. કોર્ટે આ મામલાની સુઓ મોટો સંજ્ઞાન લીધું છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ(CJI DY Chandrachud)ની અધ્યક્ષતાવાળી બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે આ માત્ર કોલકાતામાં હત્યાનો મામલો નથી, આ મામલો દેશભરના ડોક્ટરોની સુરક્ષાનો છે.
દિલ્હી મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સુઓ મોટો કેસમાં પક્ષકાર બનાવવાની વિનંતી કરી છે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમે કોર્ટને સહકાર આપવા માંગીએ છીએ. પશ્ચિમ બંગાળ સરકાર વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર થયા છે.
બેંચે કહ્યું કે યુવાન ડોકટરોને કામ કરવા માટે સલામત પરિસ્થિતિઓ ન હોવી એ ખૂબ જ ચિંતાજનક બાબત છે. સુરક્ષા વ્યવસ્થાની ગેરહાજરીમાં જો મહિલાઓ કામ પર ન જઈ શેકે, તો આપણે તેમના સમાનતા અધિકારને નકારી રહ્યા છીએ. મોટાભાગના યુવાન ડોકટરો સતત 36 કલાક કામ કરે છે, કાર્યસ્થળ પર સલામતી સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય પ્રોટોકોલ વિકસાવવો જરૂરી છે.
કોર્ટે એમ પણ કહ્યું કે પીડિતાનું નામ મીડિયા ફરી રહ્યું છે, અને ફોટોગ્રાફ્સ અને વીડિયો જાહેર કરવામાં આવ્યા, જે ખેદજનક છે.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે આ મામલામાં એફઆઈઆર પણ મોડેથી દાખલ કરવામાં આવી છે. સિબ્બલે આને પણ ખોટું ગણાવ્યું. તેના પર ચીફ જસ્ટિસે પૂછ્યું કે શું એફઆઈઆરમાં હત્યાનો ઉલ્લેખ છે? જેના જવાબમાં વકીલે કહ્યું કે અકુદરતી મૃત્યુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ચીફ જસ્ટિસે પૂછ્યું કે જ્યારે આ કેસને આત્મહત્યા ગણાવવામાં આવી રહ્યો છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે તે સમયે પ્રિન્સિપાલ શું કરી રહ્યા હતા. છેક સાંજે FIR દાખલ કરવામાં આવી હતી.