ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા રચ્યું અપહરણનું નાટક, પરિવાર પાસેથી વસૂલી ખંડણી ને પછી…

લખનઉ: શાહજહાંપુરમાં ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે અપહરણ કરનાર બીબીએના વિદ્યાર્થીની તેના બે મિત્રો સાથે પોલીસે ધરપકડ કરી છે. વિદ્યાર્થીએ તેના જ પરિવાર પાસેથી 40 હજાર રૂપિયાની ખંડણી પણ વસૂલ કરી હતી. મીરાનપુર કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના મોહલ્લા મુગલાનના રહેવાસી અખિલ ત્યાગીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો નાનો ભાઈ સંજીવ કુમાર ત્યાગી ઉર્ફે સંજુ બરેલીના ભોજીપુરા સ્થિત સિદ્ધિ વિનાયક કોલેજમાં અભ્યાસ કરે છે. સંજીવ 21 ઓક્ટોબરે સવારે 11 વાગે બરેલીના ભોજીપુરા સ્થિત સિદ્ધિ વિનાયક કોલેજ જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારથી તે ગાયબ હતો.
આ પણ વાંચો : નાગપુરમાં દૃશ્યમ ફિલ્મ જેવી ઘટના, લશ્કરના જવાને કરી ગર્લફ્રેન્ડની હત્યા: મૃતદેહ ખાડામાં નાખી સિમેન્ટથી પૂર્યો
બે લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી
ભાઈએ આશંકા વ્યક્ત કરી હતી કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેને બંધક બનાવી લીધો છે. મામલાને ગંભીરતાથી લઈને પોલીસે સર્વેલન્સ અને એસઓજીની મદદથી વિદ્યાર્થીની શોધખોળ શરૂ કરી હતી. બુધવારે એક અજાણ્યા વ્યક્તિએ અખિલને ફોન કરીને કહ્યું કે તેણે સંજીવનું અપહરણ કર્યું છે. તેના બદલામાં બે લાખ રૂપિયા ખંડણી માંગે છે.
અપહરણકર્તાએ તેને ખંડણીની રકમ સાથે બહગુલ નદીના પુલ પર બોલાવ્યો હતો. કટરા પોલીસ સ્ટેશન અને એસઓજીની ટીમે સવારે 09.45 વાગ્યે બુલેટથી આવેલા બંને અપહરણકર્તાઓને પકડી લીધા હતા. પોલીસે સંજીવના મિત્ર ગુરશન સિંહ અને મંગેશ યાદવ ઉર્ફે છોટુ ની ધરપકડ કરી હતી.
ખંડણીના પ્રથમ હપ્તાના 40 હજાર રૂપિયા લીધા
પોલીસે અપહરણ કરાયેલા સંજીવ કુમાર ત્યાગી ઉર્ફે સંજુને પણ રિકવર કર્યો હતો. પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે સંજીવે પરિવાર પાસેથી પૈસા પડાવવા માટે પોતાનું અપહરણ કરવાનું કાવતરું ઘડ્યું હતું. 40 હજારની ખંડણીનો પ્રથમ હપ્તો પણ લેવામાં આવ્યો હતો. સંજીવે જણાવ્યું કે તે તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માંગતો હતો. તેણે નોકરી મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ ક્યાંય મળી નહોતી.
આ પણ વાંચો : 42 વર્ષના અભિનેતાએ ગર્લફ્રેન્ડ સાથે કરી લીધા ચોરીછૂપીથી કર્યા લગ્ન…
પછી તેણે વિચાર્યું કે તે ધંધો કરશે. તેણે માત્ર ધંધા માટે તેના અપહરણની વાર્તા ઘડી હતી. મિત્રોને પણ તેની સાથે જોડાવાની લાલચ આપવામાં આવી હતી. સીઓ તિલ્હાર અમિત ચૌરસિયાએ કહ્યું કે કાવતરાખોર અને તેના મિત્રોની ધરપકડ કરીને તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. ખંડણીના 36,500 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.