કેરળમાં અતિ ગરીબી નાબૂદઃ વિધાનસભામાં સીએમનો દાવો અને વિપક્ષોનું વૉકઆઉટ

તિરુવનંતપુરમઃ દેશમાં સો ટકા સાક્ષર રાજ્યની નામના પામેલા કેરળ રાજ્યએ વધુ એક ખિતાબ હાંસલ કર્યો છે. કેરળ ભારતનું પહેલું રાજ્ય બન્યું છે, જ્યાં અત્યંત ગરીબી હવે રહી નથી. કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને શનિવારે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે રાજ્ય એક્સટ્રીમ પોર્વર્ટી દારૂણ ગરીબીથી મુક્ત થઈ ગયું છે. આ સાથે તેમણે એવો દાવો પણ કર્યો છે કે આ સિદ્ધિ મેળવનાર ભારતનું પહેલું રાજય કેરળ બન્યું છે.
વર્ષ 2021માં રાજ્ય સરકારે Extreme Poverty Alleviation Project લૉંચ કર્યો હતો. અને 64,006 જેટલા પરિવાર અત્યંત ગરીબ હોવાનું અલગ અલગ માપદંડોને આધારે નક્કી કર્યું હતું. ત્યારબાદ આ પરિવારોને ચાર વર્ષ સુધી આ યોજના હેઠળ મદદ કરવામાં આવી હતી, જેથી તેમની સ્થિતિમાં સુધારો આવે.
કેરળના સ્થાપના દિવસે એટલે કે આજે વિજયને આ જાહેરાત ખાસ મળેલી વિધાનસભાની બેઠકમાં કરી છે.
અહીંના પ્રધાન એમબી રાજેશના જણાવ્યા અનુસાર નીતિ આયોગના અહેવાલમાં કેરળમાં દેશમાં સૌથી ઓછો 0.7 ટકા પોર્વટી રેટ હોવાનુ્ં બહાર આવ્યું હતું, ત્યારબાદ આ પ્રોજેક્ટ લૉંચ કરવામાં આવ્યો હતો. આ આંકોડ ભલે નાનો હોય, છતાં અમને લાગ્યું કે આ લોકો સુધી રાજ્ય સરકારે પહોંચવું જોઈએ. ભોજન, આરોગ્ય, ઘર વગેરે જેવા માપદંડને આધારે અમે આવા પરિવારો સુધી પહોંચ્યા અને એક લાખ જેટલા લોકો માટે આ પ્રોજેક્ટ શરૂ કર્યો.
વિરોધપક્ષે ફગાવ્યો દાવો
કેરળના વિપક્ષ United Democratic Front (યુડીએફ)એ આ દાવાને સાવ જ ખોટા ગણાવ્યા હતા. કૉંગ્રેસ સહિતના પક્ષના નેતાઓએ વિધાનસભામાંથી વૉક આઉટ કરી લીધું હતું. વિપક્ષે આને વિધાનસભાના નિયમોનો ભંગ પણ ગણાવ્યો હતો.



