Wayanad Landslide: 308 લોકોના મૃત્યુ, સાત જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ
![Wayanad Landslide: 308 dead, orange alert for rain in seven districts](https://bombaysamachar.com/wp-content/uploads/2024/08/Yogesh-2024-08-02T112909.274.jpg)
નવી દિલ્હી : કેરળમાં ભારે વરસાદથી વાયનાડમાં (Wayanad Landslide) સર્જાયેલ ભૂસ્ખલનથી તબાહી સર્જાઇ છે. ત્યારે આજે હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને સાત જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં 2 જુલાઈએ શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જિલ્લાઓમાં થ્રિસુર, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર, કાસરગોડનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે શનિવાર સુધી વાયનાડ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
ભૂસ્ખલનમાં 308 લોકોના મોતની પુષ્ટિ
વાયનાડમાં ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 308 પર પહોંચી ગયો છે. 213 લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે અને 29 બાળકો સહિત 240 લોકો ગુમ છે. વાયનાડ જિલ્લામાં મેપ્પડી અને આસપાસના વિસ્તારોમાં 91 રાહત શિબિરોમાં 19 સગર્ભા સ્ત્રીઓ સહિત ઓછામાં ઓછા 9328 અસરગ્રસ્ત લોકોને હવે રાખવામાં આવ્યા છે. તબાહ થયેલા ગામમાં મકાનો, શાળાઓ અને દુકાનો સહિત લગભગ 348 ઈમારતોને સંપૂર્ણપણે નુકસાન થયું હતું.
શાળાઓનો ઉપયોગ રાહત શિબિર તરીકે
પલક્કડ જિલ્લામાં પણ શુક્રવારે શાળાઓ, આંગણવાડીઓ, ટ્યુશન સેન્ટરો અને મદરેસાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે નવોદય વિદ્યાલય જેવી નિવાસી શાળાઓમાં કામગીરી ચાલુ રહેશે. થ્રિસુરના ડીએન અર્જુન પાંડિયનનું કહેવું છે કે ઘણી શાળાઓનો ઉપયોગ રાહત શિબિર તરીકે પણ કરવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગના એલર્ટને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીંની રહેણાંક શાળાઓને પણ વર્ગો ન ચલાવવા સૂચના આપવામાં આવી છે.