કેરળની નર્સ નિમિષા પ્રિયા પર મોતની તલવાર: યમનમાં 16 જુલાઈએ ફાંસી, પીડિત પરિવાર સાથે સમાધાનના પ્રયાસો ચાલુ…

નવી દિલ્હી: યમનમાં ભારતીય નર્સ નિમિષાને પ્રિયાને યમનના નાગરિક તલાલ અબ્દો મહેદીની હત્યાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવી હતી. હવે તેને 16 જુલાઇના રોજ ફાંસી આપવામાં આવશે. યમનમાં સરકારી અધિકારીઓ અને મૃતકના પરિવાર સાથે વાતચીતમાં શામેલ એક સામાજિક કાર્યકર્તાએ માહિતી આપી હતી કે નિમિષાની ફાંસીની તારીખ નક્કી કરી દેવામાં આવી છે.
અહેવાલો અનુસાર જેલના અધિકારીઓએ તેમને ફાંસીની તારીખ જણાવી છે. નિમિષા પર જે શખ્સની હત્યાનો આરોપ છે તેના પરિવાર સાથે હજુ પણ વાતચીત ચાલી રહી છે, જો કે હજુ કોઇ સકારાત્મક પ્રતિક્રિયા મળી નથી. યમનના તે પરિવારને 10 લાખ ડોલરની ઓફર કરવામાં આવી હતી. આ રકમ ચૂકવવા માટે સ્પોન્સર્સ પાસેથી મદદ લેવામાં આવી રહી છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે નિમિષાનો જીવ બચાવવા માટે ભારત સરકાર પણ હસ્તક્ષેપ કરી શકે છે.
નિમિષા કેરળના પલક્કડની રહેવાસી
ઉલ્લેખનીય છે કે નિમિષા કેરળના પલક્કડની રહેવાસી છે. તેમની માતાનું નામ પ્રેમા કુમારી છે. ગયા વર્ષે તેઓ યમનમાં જ હતાં. નિમિષા ઘણા વર્ષો સુધી યમનમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. 2017 માં તેમના પર યમનના એક નાગરિકની હત્યાનો આરોપ લાગ્યો હતો. યમનમાં મૃતક તલાલના સહયોગથી નિમિષા ક્લિનિક ચલાવતી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે માનસિક અને શારીરિક શોષણથી કંટાળીને તેમણે તલાલની હત્યા કરી દીધી હતી.
યમનના રાષ્ટ્રપતિએ લગાવી મહોર
યમનની નીચલી અદાલતે પહેલા નિમિષા પ્રિયાને મોતની સજા સંભળાવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ નીચલી અદાલતના નિર્ણયને યથાવત રાખ્યો હતો. યમનના રાષ્ટ્રપતિ રાશદ અલ આલિમીએ પણ નિમિષાની સજા પર મહોર લગાવી દીધી હતી, જે નિમિષાની સજા માફ થવાનો એક જ રસ્તો હતો: જો તલાલનો પરિવાર પૈસાના બદલામાં તેમને મુક્ત કરવા સંમત થાય, તો જ નિમિષાની ફાંસી અટકી શકે તેમ હતી.