કેરળમાં સતત ફેલાઈ રહ્યો છે નિપાહ વાયરસનો ચેપ, જાણો લક્ષણ અને બચવાના ઉપાયો

તિરૂવનંતપુરમ : કેરળમાં નિપાહ વાયરસનો ચેપ ફેલાવા લાગ્યો છે. જેના કારણે રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. જેમાં એક તરફ, કોરોના પછી લોકો વાયરસ સંબંધિત રોગ અંગે ચિંતા વ્યક્ત કરે છે. જેથી નિપાહ વાયરસના ફેલાવાના પગલે લોકો ભય જોવા મળી રહ્યો છે. જોકે, આ વાયરસ માત્ર ઝડપથી ફેલાવાની સાથે તેનો મૃત્યુદર પણ ખૂબ ઊંચો છે. કેરળના મલપ્પુરમ, પલક્કડ અને કોઝિકોડ જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાયા છે. તેમજ 425 થી વધુ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સરકારે આઇસોલેશન, ટ્રેકિંગ અને પરીક્ષણની પ્રક્રિયા ઝડપી બનાવી છે.
અત્યાર સુધીમાં 425 થી વધુ લોકોને દેખરેખ હેઠળ
આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું છે કે અત્યાર સુધીમાં 425 થી વધુ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આમાં મલપ્પુરમ (228), પલક્કડ (110) અને કોઝિકોડ (87) ના લોકોનો સમાવેશ થાય છે. જોકે, દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને દરેકના નમૂના લેવામાં આવી રહ્યા છે અને તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં તબીબી ટીમો તૈનાત કરવામાં આવી છે.
નિપાહ વાયરસ શું છે?
નિપાહ વાયરસ એક ઝૂનોટિક વાયરસ છે, જે પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાય છે. તે મુખ્યત્વે ફળ ખાનારા ચામાચીડિયા દ્વારા ફેલાય છે અને મનુષ્યોમાં શ્વાસ લેવામાં તકલીફ, ખૂબ તાવ અને મગજમાં સોજો જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.
નિપાહ વાયરસના મુખ્ય લક્ષણો
- તાવ
- માથાનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો
- થાક અને નબળાઈ
- શ્વાસ લેવામાં તકલીફ
- ઉલટી અથવા ઉબકા
-માનસિક મૂંઝવણ અથવા બેભાનતા
નિપાહ વાયરસ કેવી રીતે ફેલાય છે?
ચેપગ્રસ્ત ચામાચીડિયા દ્વારા ખાધેલા ફળો અથવા તેમના થૂંકથી ચેપગ્રસ્ત વસ્તુઓને સ્પર્શ કરીને અથવા ખાવાથી તેમજ
ચેપગ્રસ્ત માણસોના સીધા સંપર્કમાં આવવાથી અથવા ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્કમાં આવવાથી ફેલાય છે.
નિપાહ વાયરસથી કેવી રીતે બચવું ?
- ચામાચીડિયા દ્વારા ખાધેલા ફળો અથવા ઝાડ પરથી પડેલા ફળો ન ખાઓ
- બીમાર વ્યક્તિઓથી અંતર જાળવો અને માસ્ક પહેરો
- વારંવાર સાબુથી હાથ ધોવા અથવા સેનિટાઇઝ કરો
- ખાસ કરીને ખેતરોમાં પશુઓથી અંતર જાળવો
આ ઉપરાંત સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરો. તેમજ જો શરીરમાં કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો