નેશનલ

રેટ માઇનર્સને નહિ તો કોને મળ્યા કેજરીવાલ? મજૂરોએ કહ્યું અમને તો નથી મળ્યા..

ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને 12 રેટ માઇનર્સે તેમનો કિંમતી જીવ જોખમમાં મુકીને બહાર કાઢ્યા હતા. એ પછી દિલ્હીની કેજરીવાલ સરકારે દાવો કર્યો હતો કે સીએમ કેજરીવાલે રેટ માઇનર્સ સાથે મુલાકાત કરી હતી, જો કે હવે રેટ માઇનર્સ દાવો કરી રહ્યા છે કે કોઇ મુખ્યપ્રધાન-મંત્રી તેમને મળ્યા નહોતા.

મીડિયા અહેવાલો મુજબ સીએમ કેજરીવાલ સહિત દિલ્હી સરકારમાં પ્રધાનો આતિશી, સૌરભ ભારદ્વાજે આ રેટ માઇનર્સ સાથે 2 ડિસેમ્બરે મુલાકાત કરી હતી, પરંતુ રેટ માઇનર્સે આ સમાચારને રદિયો આપ્યો છે. દિલ્હી જલ બોર્ડ તથા મુખ્યપ્રધાન કાર્યાલયમાંથી કોઇએ તેમનો સંપર્ક સાધ્યો ન હતો. ત્યારે એવું શક્ય છે કે આ રેટ માઇનર્સના બદલે તેઓ અન્ય શ્રમિકોને મળ્યા હોય.

વકીલ હસન નામના એક રેટ માઇનરે એવો દાવો કર્યો છે કે પહેલા જ્યારે એ સમાચાર વહેતા થયા કે કેજરીવાલ અમને મળ્યા છે ત્યારે અમને એવું લાગ્યું કે કોઇ ફેક એકાઉન્ટ દ્વારા એ વાતો ફેલાવવામાં આવી હશે, ખરેખર તો એવું કંઇ બન્યું જ નથી. દિલ્હી જલ બોર્ડમાંથી પણ કોઇ અધિકારી અમને મળવા આવ્યા નથી.

આ ઉપરાંત રેટ માઇનર્સે જણાવ્યું હતું કે ઉત્તરાખંડની ધામી સરકારે રેટ માઇનર્સને પચાસ-પચાસ હજાર રૂપિયાનો ચેક આપ્યો હતો, જ્યારે અંદર ટનલમાં ફસાયેલા લોકોને એક-એક લાખ રૂપિયાનો ચેક આપ્યો છે. આ અમારી સાથે અન્યાય છે. આ મામલે સીએમ ધામીએ અમને ઘટતું કરવા ખાતરી આપી હતી, તેવું રેટ માઇનર્સે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button