નેશનલ

દુર્ઘટના ટળી: કેદારનાથ જતા હેલિકોપ્ટરનું હાઈવે પર કરાયું લેન્ડિંગ, જાનહાનિ નહીં

ઉત્તરાખંડ: દેશમાં 12 જ્યોતિર્લિંગ આવેલા છે. જે પૈકીનું એક જ્યોતિર્લિંગ 3534 મીટરની ઉંચાઈ પર આવેલું કેદારનાથ ધામ છે. દર વર્ષે અહીં અનેક શ્રદ્ઘાળુઓ દર્શનાર્થે જાય છે. કેદારનાથ ધામ સુધી પહોંચવા માટે કપરૂં ચઢાણ ચડવું પડે છે. જેને ધ્યાનમાં રાખીને વર્ષ 2010થી અહીં હેલિકોપ્ટર સેવા પણ શરૂ કરવામાં આવી છે. પરંતુ આજે આ હેલિકોપ્ટરમાં એક મોટી દુર્ઘટના ઘટતા ટળી ગઈ છે.

હેલિકોપ્ટમાં સવાર હતા 5 યાત્રીઓ

ઉત્તરાખંડના સીરસી હેલીપેડ ખાતેથી 5 યાત્રીઓને કેદારનાથ ધામ સુધી લઈ જવા માટે એક હેલિકોપ્ટર રવાના થયું હતું. પરંતુ ટેક્નિકલ ખામીના કારણે તેને હાઈવે પર લેંડ કરાવવું પડ્યું હતું. અચાનક હાઈવે પર લેંડિંગ થવાના કારણે હેલિકોપ્ટરના પાછલા ભાગને નુકસાન પહોંચ્યું હતું. સાથોસાથ હાઈવે પર ઉભેલા એક વાહનને ટક્કર વાગી હતી. જેથી તેને પણ નુકસાન થયું હતું.

ચોથી વખત થયું હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેંડિંગ

જોકે કટોકટીના સંજોગોમાં કરવામાં આવેલા લેંડિંગને દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર તમામ યાત્રીઓ અને પાયલટને કોઈ હાનિ થઈ નથી. તમામને સુરક્ષિત રીતે હેલિકોપ્ટરમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી મળતાની સાથે જ ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટીએ તેને ધ્યાને લીધી હતી અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયને જાણકારી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ચારધામ યાત્રા શરૂ થયા બાદ આ ચોથી વખત બનેલી હેલિકોપ્ટર દુર્ઘટના છે. અગાઉ કેદારનાથ હેલિપેડ પાસે પણ હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેંડિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એઈમ્સના ડૉક્ટર અને પાયલટનો માંડ-માંડ જીવ બચ્યો હતો. જોકે આજે બનેલી ઘટનાને લઈને પ્રશાસન દ્વારા સઘન તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button