
મેંગલુરુ: કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ત્રણ લોકોના મોત થયા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ગુરુવારે રાત્રે અહીં નજીક મોન્ટેપદાવુ કોડી થયેલા ભૂસ્ખલનના કારણે એક ઘરના પાંચ લોકો કાટમાળમાં દટાઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાટમાળમાંથી એક મહિલા અને તેના બાળકને બચાવી લેવામાં આવ્યા હતા અને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જોકે, મહિલાનું બીજું બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારે વરસાદ અને સ્થળ સુધી મર્યાદિત પહોંચને કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. એનડીઆરએફ અને એસડીઆરએફ અને સ્થાનિક પોલીસ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ અભિયાનમાં જોડાયા હતા.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભૂસ્ખલન દરમિયાન ઘરની અંદર રહેલી બીજી એક મહિલા મૃત હાલતમાં મળી આવી હતી, જ્યારે તેનો પુત્ર સીતારામ ભૂસ્ખલનનો અવાજ સાંભળીને બહાર આવ્યો હતો અને બચી ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે એક અન્યની ઓળખ કંટપ્પા પૂજારી તરીકે થઇ છે. જે ઇજાગ્રસ્ત થયો હતો. સ્થાનિક લોકોએ તેમને બચાવી લીધા હતા અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, મેંગલુરુના ડેરાલાકાટેમાં એક અન્ય ઘટનામાં શુક્રવારે સવારે એક મકાનની દિવાલ પડી ગઈ હતી. આ ઘટનામાં છ વર્ષની બાળકીનું મોત થયું છે જેની ઓળખ ફાતિમા નઈમના રૂપમાં થઇ છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત વરસાદને કારણે અધિકારીઓએ પ્રદેશના સંવેદનશીલ વિસ્તારો માટે ચેતવણી જાહેર કરી હતી.
ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ અને જિલ્લા અધિકારીઓ સાથે સંકલનમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ દક્ષિણ કન્નડ જિલ્લામાં આખી રાત થયેલા વરસાદને કારણે ભૂસ્ખલન અને દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓની માહિતી લીધા પછી જિલ્લા પ્રભારી મંત્રી દિનેશ ગુંડુરાવ અને દક્ષિણ કન્નડ જિલ્લાના ડેપ્યુટી કમિશનરને તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લેવા નિરીક્ષણ કરવા, જરૂરી કાર્યવાહી કરવા અને તેમને રિપોર્ટ સુપરત કરવા નિર્દેશ આપ્યો હતો.