કર્ણાટકમાં કોંગ્રેસની મુશ્કેલી વધી, મુખ્યમંત્રી પદનો વિવાદ, ભાજપે અપનાવી થોભો અને રાહ જુઓની નીતિ

બેંગલુર: કર્ણાટકમાં કોંગ્રેસની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં પણ મુખ્યમંત્રી પદ માટે સીએમ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે ચાલી રહેલા વિવાદે રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે.
તેમજ કોંગ્રેસના આ બંને નેતા કોઈ પણ રીતે પીછેહઠ કરવા તૈયાર નથી. દિલ્હી કોંગ્રેસ હાઈ કમાન્ડ માટે પણ તેનો નિર્ણય લેવો મુશ્કેલ બની રહ્યો છે. જયારે ભાજપ પણ આ વિવાદના પગલે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે
આપણ વાચો: કર્ણાટકમાં કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો, ડીકે શિવકુમારે ધારાસભ્યોના બીજા ગ્રુપને દિલ્હી મોકલ્યું
વિધાનસભા ભંગ કરે અને રાજ્યમાં ચૂંટણી કરાવે : ભાજપ
જેમાં કર્ણાટકમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે ચાલી રહેલી લડાઈમાં ભાજપ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહી છે. ભાજપે આ અંગે કોઈ પહેલ નથી કરી. તેમજ ભાજપના નેતાઓ તેને કોંગ્રેસનો આંતરિક ઝઘડો ગણાવી રહ્યા છે.
કર્ણાટકના કેન્દ્રીય મંત્રી વી. સોમન્નાએ કહ્યું છે કે ભાજપને ડીકે શિવકુમારની જરૂર નથી. ભાજપે માંગ કરી છે કે જો કોંગ્રેસમાં હિંમત હોય તો તે વિધાનસભા ભંગ કરે અને રાજ્યમાં ચૂંટણી કરાવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કર્ણાટકની સ્થિતિ ખરાબ છે. રાજ્યના રસ્તાઓ ભયંકર હાલતમાં છે. તેમજ કોંગ્રેસ પાર્ટી સત્તા વહેંચણીના નાટકમાં ફસાયેલી છે. કર્ણાટકના લોકોએ ક્યારેય આનાથી વધુ ભ્રષ્ટ સરકાર જોઈ નથી.
ભાજપ હાલમાં આ વિવાદમાં ફસાવા માંગતુ નથી
ભાજપ હાલમાં સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે ચાલી રહેલા વિવાદથી દુર રહેવા માંગે છે. ભાજપની રણનીતિ એવી છે કે આ મુદ્દો જેટલો લાંબો ચાલશે તેટલી જ તેમને કોંગ્રેસ વિરોધી વાતાવરણ બનાવવાની તક મળશે. ભાજપ માને છે કે કર્ણાટકનો આ વિવાદ તેમના માટે અનુકૂળ છે.
રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને ફાયદો થયો
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના અન્ય એક રાજ્ય રાજસ્થાન પણ આ જ પ્રકારનો વિવાદ ઉભો થયો હતો. જેમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે સીએમ પદ મુદ્દે વિવાદ સર્જાયો હતો. ભાજપે રાજસ્થાનમાં પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હતી. જેનો વર્ષ 2023ની ચૂંટણીમાં રાજકીય લાભ મળ્યો હતો. છત્તીસગઢમાં, ભાજપે ભૂપેશ બઘેલ અને ટીએસ સિંહદેવના કિસ્સામાં કોઈ ઉતાવળ બતાવી નહીં અને વર્ષ 2023 માં પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પરત ફર્યા.



