આ એરપોર્ટ પરથી 44 ફ્લાઈટ્સ ટેકઓફ અને લેન્ડિંગ કેન્સલ થયા
![Passengers protest at Kempegowda International Airport (KIA) in Bengaluru, Karnataka, on September 29, 2023, during the Karnataka Bandh](https://bombaysamachar.com/wp-content/uploads/2023/09/Karnataka-Bandh_.webp)
બેંગલુરુઃ તમિલનાડુને પાણી છોડવાના વિરોધમાં જાહેર કરાયેલા કર્ણાટક બંધને કારણે બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉપડતા મુસાફરોને અસર થઈ છે. બંધના કારણે બેંગલુરુ જતી અને આવતી 44 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. મુસાફરોની ઓછી સંખ્યાને કારણે આ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
તેમાંથી 22 ફ્લાઈટ્સ બેંગલુરુ આવવાની હતી અને 22 ફ્લાઈટ અહીંથી રવાના થવાની હતી. બંધના કારણે લોકો બેંગલુરુ આવ્યા ન હતા જેના કારણે કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાલી રહ્યું હતું. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓપરેશનલ કારણોસર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને મુસાફરોને સમયસર તેની જાણ કરવામાં આવી હતી. જો કે, કર્ણાટક બંધને કારણે ઘણા મુસાફરોએ તેમની ટિકિટો કેન્સલ કરી હતી. જેને કારણે કેન્સલેશન થયું હતું.
કાવેરી નદીના પાણીને પડોશી તમિલનાડુમાં છોડવાના વિરોધમાં કન્નડ સંગઠનોની અગ્રણી સંસ્થા કન્નડ ઓક્કુટા દ્વારા આજે રાજ્યવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું છે. કાવેરી નદીનું પાણી તમિલનાડુમાં છોડવાના વિરોધમાં કર્ણાટકના મંડ્યામાં ખેડૂતો અને વિવિધ કન્નડ સમર્થક સંગઠનો વિરોધ કરી રહ્યા છે . પ્રદર્શનકારીઓ કર્ણાટક સરકાર પાસે પડોશી રાજ્યને પાણી છોડવાનું બંધ કરવાની માંગ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે કૃષ્ણ રાજા સાગર ડેમમાં સિંચાઈની જરૂરિયાતોને તો છોડો, પીવાનું પાણી પૂરું પાડવા માટે પણ પૂરતું પાણી નથી.
કર્ણાટક બંધને બેંગલુરુ અને રાજ્યના દક્ષિણ વિસ્તારોના લોકોનો સંપૂર્ણ સમર્થન મળ્યું હતું. બંધના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. સત્તાવાળાઓએ બેંગલુરુ શહેર, મંડ્યા, મૈસુર, ચામરાજાનગર, રામનગરા અને હાસન જિલ્લામાં ફોજદારી દંડ સંહિતા (CrPC) ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદ્યા છે.
રાજ્યના અન્ય ભાગોમાં બંધની મિશ્ર અસર જોવા મળી હતી. પ્રદર્શનકારીઓએ ચિત્રદુર્ગમાં રાજ્યના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનનું પૂતળું પણ બાળ્યું હતું. કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પણ બંધને સમર્થન આપ્યું છે. ‘કર્ણાટક ફિલ્મ એક્ઝિબિટર્સ એસોસિએશન’એ બંધને સમર્થન આપ્યું છે.
તે જ સમયે, રાજ્યભરના થિયેટરોમાં સાંજના શો રદ કરવામાં આવ્યા છે. બેંગલુરુમાં મોટાભાગની માહિતી ટેકનોલોજી કંપનીઓ અને અન્ય કંપનીઓએ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું છે. ‘ઓટો રિક્ષા ડ્રાઈવર્સ યુનિયન’ અને ‘ઓલા ઉબેર ડ્રાઈવર્સ એન્ડ ઓનર્સ એસોસિએશન’એ પણ બંધને સમર્થન આપ્યું છે.