Train Accident: માનવતા મહેંકી, ઈદ ભૂલીને યાત્રીઓને બચાવવા લાગ્યા 150 થી વધુ ગ્રામજનો

દાર્જીલિંગ: પશ્ચિમ બંગાળમાં સોમવારે સવારે થયેલા કંચનજંગા ટ્રેન દુર્ઘટનામાં(Train Accident) નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા. દાર્જિલિંગના નિર્મલ જોટ ગામ પાસે કંચનજંગા ટ્રેન(Kanchanjunga Express) અકસ્માત થયો હતો. જ્યારે આ અકસ્માત થયો ત્યારે ગામના લોકો ઈદ મનાવવાની તૈયારી કરી રહ્યા હતા, જો કે અકસ્માત થતાં જ ગામના લોકોએ બધું છોડીને ટ્રેનમાં ફસાયેલા લોકોને બચાવવાનું શરૂ કર્યું.
પાટા પરથી ઉતરેલા કોચ જોયા
આ અંગે નિર્મલ જોટ ગામના રહેવાસી મોહમ્મદ મોમિરુલ કહે છે કે તેણે નમાઝ અદા કર્યા પછી દિવસની શરૂઆત જ કરી હતી જ્યારે સમાચાર આવ્યા કે સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ ટક્કર મારી હતી.
તેમણે કહ્યું, “હું નમાઝ પઢીને પાછો આવ્યો હતો અને અમે બધા ઘરે જશ્ન મનાવવામાં વ્યસ્ત હતા. ત્યારે અચાનક અમને મોટો અવાજ સંભળાયો. હું મારા ઘરની નજીક રેલ્વે ટ્રેક તરફ દોડ્યો અને પાટા પરથી ઉતરેલા કોચ જોયા. મેં માલગાડીના લોકો પાયલટને ટ્રેનના પૈડા નીચે પડેલા જોયા. હું ડ્રાઇવર પાસે પહોંચ્યો ત્યાં સુધીમાં તે મરી ગયો હતો.
ગામના 150 જેટલા લોકોએ ટ્રેનના મુસાફરોની મદદ કરી
અકસ્માત બાદ નિર્મળ જોટ ગામના 150 જેટલા લોકો તહેવાર ભૂલી ગયા હતા અને લોકોને બચાવવા લાગ્યા હતા. શરૂઆતમાં એમ્બ્યુલન્સ અને બચાવ ટીમની ગેરહાજરીમાં, ગામલોકો ઘાયલ મુસાફરોને તેમના વાહનોમાં નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. ટ્રેન દુર્ઘટના પછી ઘણા ગ્રામજનો મુસાફરોને તેમના ઘરે લઈ ગયા અને તેમના આરામની વ્યવસ્થા કરી.
લગભગ 35 મુસાફરોને ટ્રેનમાંથી બચાવ્યા
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, NDRF અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દુર્ઘટનાના એક કલાક પછી ટ્રેન દુર્ઘટના સ્થળે પહોંચી શકી હતી. નિર્મલ જોટ ગામમાં રહેતા અન્ય એક વ્યક્તિ મોહમ્મદ નઝરુલે જણાવ્યું કે તેણે અકસ્માત સ્થળે છ મૃતદેહો જોયા. તેમણે જણાવ્યું કે તેણે લગભગ 35 મુસાફરોને ટ્રેનમાંથી બચાવ્યા.
ક્યારેય વિચાર્યું ન હતું કે આવું જોવું પડશે
તસ્લીમા ખાતૂન નામની સ્થાનિક મહિલાનું કહેવું છે કે તે સવારે ઈદ માટે તૈયાર થઈ રહી હતી પરંતુ અકસ્માતની જાણ થતાં જ તે સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યાં એક વૃદ્ધ મહિલા હતી જે ઈજાગ્રસ્ત હતી અને ઊભા રહી શકતી ન હતી. તસ્લીમા ખાતૂન કહે છે, મેં તેને પાણી માટે રડતી જોઈ, તે લાચાર દેખાતી હતી.
મેં તેમને દિલાસો આપ્યો અને બાદમાં તેમના સંબંધીઓ સિલીગુડીથી આવ્યા અને તેને પરત લઈ ગયા. તસ્લીમા કહે છે કે તેમણે ગયા વર્ષે ટીવી પર બાલાસોર અકસ્માતના સમાચાર જોયા હતા પરંતુ ક્યારેય વિચાર્યું ન હતું કે તે પોતાની આંખોથી આવું કંઈક જોશે.