જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવી માર્ગ પર બાણગંગા નજીક ભૂસ્ખલન, અનેક યાત્રીઓ ફસાયા

કટરા : જમ્મુ કાશ્મીરના કટરા નજીક ભારે વરસાદના પગલે એક દુર્ઘટના ઘટી છે. જેમાં માતા વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલન થયું છે. જેમાં મળતી માહિતી મુજબ વૈષ્ણો દેવી ભવન માર્ગ બાણગંગા પાસે યાત્રીઓ ભૂસ્ખલન બાદ કાટમાળમાં ફસાયા છે.
ભૂસ્ખલનના લીધે ટ્રેક પર બનેલો શેડ તૂટી ગયો
આ દુર્ઘટના બાદ માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના કર્મચારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ રાહત અને બચાવ કાર્ય શરુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્થાનિકો પણ બચાવકાર્યમાં જોડાયા હતા. જેમાં યાત્રિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જયારે આ ઘટનાના ઈજા ગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલના ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને નજરે નિહાળનારના મતે ભૂસ્ખલનના લીધે ટ્રેક પર બનેલો શેડ તૂટી ગયો હતો. જોકે, મોટી જાનહાનિ ટળી છે.
વૈષ્ણો દેવી યાત્રાનો સૌથી જુનો અને મુખ્ય માર્ગ
ઉલ્લેખનીય છે કે, જે માર્ગ પર ભૂસ્ખલન થયું તે માતા વૈષ્ણો દેવી યાત્રાનો સૌથી જુનો અને મુખ્ય માર્ગ છે. જેની પર દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે પસાર થાય છે. જોકે, આ દુર્ઘટના બાદ થોડા સમય માટે અવર જવર બંધ કરી દેવા માં આવી છે. તેમજ હજુ સુધી વહીવટીતંત્ર તરફથી સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
આ પણ વાંચો…પહેલગામ હુમલા બાદ વૈષ્ણો દેવી યાત્રાના માર્ગ પર નકલી પુરાવા સાથે બે ઘોડા ચાલક પકડાયા