ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એનકાઉન્ટર, સિક્યોરિટી ફોર્સીઝે 3-4 આતંકવાદીઓને ઘેર્યા…

શ્રીનગર: ઓપરેશન સિંદુર દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદીઓના ઠેકાણાં નષ્ટ કર્યા બાદ, હવે ભારતીય સિક્યોરિટી ફોર્સીઝએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાન વધુ ઝડપી બનાવ્યું છે. એવામાં ગત મોડી રાત્રે કિશ્તવાડ જિલ્લાના સિંગપોરા વિસ્તારમાં સિક્યોરિટી ફોર્સીઝ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરુ થયું. અહેવાલ મુજબ આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે.

આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતા જ આ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો હતો. સમયાંતરે બંને પક્ષે ગોળીબાર થઇ રહ્યો છે. સિક્યોરિટી ફોર્સીઝ આતંકવાદીઓને ઠાર કરવાના પ્રયાસો કરી રહી છે, હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી નથી. વિસ્તારમાં નાગરિકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આતંકવાદીઓની સંખ્યાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ પ્રાથમિક અહેવાલો મુજબ 3-4 આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકા છે. નોંધનીય છે કે 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતાં. આ હુમલામાં સામેલ 5 આતંકવાદીઓ હજુ સુધી ફરાર છે, એવામાં સેનાનું અભિયાન ખુબ મહત્વનું છે.

પાકિસ્તાની ચોકીઓ નષ્ટ:
બીજી તરફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ એક ઓપરેશનમાં જમ્મુ સરહદ પર પાંચ પાકિસ્તાની ચોકીઓ અને એક આતંકવાદી ‘લોન્ચપેડ’નો નાશ કર્યો હતો. બુધવારે એક અધિકારીએ આ માહિતી આપી.

બીએસએફ કમાન્ડન્ટએ જણાવ્યું હતું કે, “અમે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો યોગ્ય જવાબ આપ્યો છે. અમે તેમની ઘણી પ્રોપર્ટીનો નાશ કર્યો. મસ્તપુરમાં તેમનું એક લોન્ચપેડ હતું, જેને અમે નષ્ટ કરી દીધું. અમારી કાર્યવાહીને કારણે, તેમની પાંચ ચોકીઓ સંપૂર્ણપણે નાશ પામી અને અમે તેમના ઘણા બંકરોનો પણ નાશ કર્યો.”

આપણ વાંચો : ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની બઢતી બાદ પાકિસ્તાની સેનાના સૂર બદલાયા, ભારતને યુદ્ધની ધમકી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button