ફક્ત 25 રૂપિયામાં આ ટ્રેન કરાવશે આખા દેશનો પ્રવાસ, જાણો કેવી રીતે થશે બુકિંગ

નવી દિલ્હી: હરવા ફરવાનો શોખ ઘણા લોકોને હોય છે. ઘરની બહાર નીકળતા પહેલા પ્રવાસના બજેટનું ધ્યાન પણ રાખવું પડે છે. જેથી પહેલા ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે. પરંતુ આજે અમે તમને એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા હરવા-ફરવાના ખર્ચની ચિંતા હળવી થઈ જશે. એક એવી ટ્રેન છે, જે ફક્ત 25 રૂપિયામાં ભારતભ્રમણ કરાવે છે.
છેલ્લા 16 વર્ષથી દેશમાં ‘જાગૃતિ યાત્રા’ નામની ટ્રેન ચાલી રહી છે. જે 25 રૂપિયામાં સમગ્ર દેશનો પ્રવાસ કરાવે છે. વર્ષમાં એક જ વખત ઉપડતી જાગૃતિ એક્સપ્રેસ 500 મુસાફરોને જ યાત્રા કરાવે છે. દર વર્ષે મે મહિનામાં તેના માટે બુકિંગ કરાવવાની શરૂઆત થઈ જાય છે. જે ઓક્ટોબર મહિના સુધી ચાલે છે. નવેમ્બર મહિનામાં આ ટ્રેન પોતાની યાત્રા શરૂ કરે છે.
જાગૃતિ એક્સપ્રેસ દિલ્હીથી ઉપડે છે. તેનું પહેલું સ્ટેશન અમદાવાદ છે. ત્યારબાદ તે મુંબઈ અને બેંગલુરૂ થઈને મદુરઈ પહોંચે છે. મદુરઈથી તે ઓરિસ્સા જાય છે અને મધ્ય ભારતમાં પ્રવેશે છે. આ ટ્રેન અનેક તિર્થસ્થળો અને પ્રવાસન સ્થળોની યાત્રા કરાવે છે. તે 15 દિવસમાં 800 કિમીનું અંતર કાપે છે. આ 15 દિવસ દરમિયાન યાત્રીઓને ઉદ્યોગસાહસ અંગેના સૂક્ષ્મ પાસાઓ વિશે પણ શિખવવામાં આવે છે. કારણ કે આ ટ્રેનનો હેતુ ‘ઉદ્યોગ દ્વારા ભારતનું નિર્માણ’ છે.
આપણ વાંચો: IRCTC પર હવે તાત્કાલ ટીકીટ મળવી સરળ બનશે, સરકાર કરી રહી છે આ કાર્યવાહી…
વર્ષ 2025 માટે જાગૃતિ એક્સપ્રેસનું બુકિંગ શરૂ થઈ ગયું છે. ટ્રેન 7 નવેમ્બરે દિલ્હીથી પોતાની યાત્રા શરૂ કરશે અને 22 નવેમ્બરે પરત ફરશે. બુકિંગ માટે તમારે 15 ઓક્ટોબર સુધીમાં https://www.jagritiyatra.com/ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ટિકિટ બુકિંગની પ્રક્રિયા થોડી લાંબી હોય છે એટલે થોડી ધીરજ રાખવી જરૂરી છે. અને હા એક ખાસ વાત, જાગૃતિ એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ બુક કરાવવા માટે તમારી ઉંમર 21થી 27 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે.